એક તરફ આજે રાજ્યસભાના સાંસદ તરીકે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરાયા છે અને બીજી તરફ કેસરીદેવસિંહ ઝાલાની નિયુક્તિ વચ્ચે પણ મોરબી જિલ્લા ભાજપનો જુથવાદ પુરૂ થવાનું નામ લેતો નથી. રવિવારના રોજ વાંકાનેર ખાતે યોજાયેલા કેસરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહમાં ભાજપનો આંતરિક જુથવાદ ઉડીને આંખે વળગે તે રીતે જોવા મળ્યો હતો. સન્માન સમારોહમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. એટલું જ નહિ ધારાસભ્યના ટેકેદારો પણ ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોહન કુંડારિયાએ કોઇનું નામ લીધા વિના શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેના પરથી વિધાનસભાની ચૂંટણી સમયથી મોહન કુંડારિયા અને જીતુ સોમાણી વચ્ચેના જુથવાદ સ્પષ્ટ વર્તાયો હતો.