
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામેથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓ સામે ઝઝૂમી રહેલા એક વૃદ્ધ દંપતીએ બીમારીની પીડાથી કંટાળીને ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે.
વાંકિયા ગામમાં રહેતા 70 વર્ષીય દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને તેમના પત્ની 68 વર્ષીય મનુબેન દામજીભાઈ ભીમાણી ઘણા સમયથી બીમાર રહેતા હતા. શારીરિક અને માનસિક વ્યાધિઓના કારણે તેઓ સતત પીડામાં હતા. ગત 2 માર્ચના રોજ, બીમારીની અસહ્ય યાતનાઓથી મુક્તિ મેળવવા માટે આ દંપતીએ પોતાના ઘરે ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા.
ઝેરની અસર થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું અને ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો વધુ હૃદયસ્પર્શી છે. મૃતક દંપતીના પુત્ર મગનભાઈ અને તેમની પુત્રવધૂ બંને મૂકબધિર (બોલી કે સાંભળી શકતા નથી) છે. વૃદ્ધ દંપતીએ અગાઉ પણ જીવન ટૂંકાવવા માટે નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. દામજીભાઈએ એકવાર ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો હતો, જ્યારે મનુબેને પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે તેઓ બચી ગયા હતા.
આ બનાવ અંગે મૃતકના પૌત્ર મયંકભાઈ મગનભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયા હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી અને પૌત્રનું નિવેદન નોંધી અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.