રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસને મદદ કરી હતી. આવા વિભીષણોને નહીં છોડે ભાજપ! લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપ પોતાના જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓના આ લીસ્ટમાં નામ હોવાની સંભાવના છે.
લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવવા હોય તે આવે પરંતુ ભાજપમાં જેમણે નિષ્ક્રિય રહીને પાર્ટીના ઉમેદવારોને નડવાનું કામ કર્યું છે તેવા લોકોને શોધીને પાઠ ભણાવવાનો ઉપલી કક્ષાએથી આદેશ થતાં પાર્ટીની અંદર રહેલા વિભિષણોને શોધવાની જવાબદારી વહેંચવામાં આવી છે.
ખાસ કરીને રાજકોટ, અમરેલી, વડોદરા, સાબરકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરની બેઠકમાં પાર્ટીના હાઈકમાન્ડને શંકા છે કે સત્તાવાર ઉમેદવારો સામે અનેક ષડયંત્રો થયાં છે. ભાજપે જે વર્તમાન સાંસદોને ટિકિટ આપી નથી તેમની પર પણ શંકાની સોય તકાયેલી છે, જેમાં અમરેલી અને સાબરકાંઠાની બેઠક મુખ્ય છે.
પ્રાથમિક અહેવાલો વચ્ચે આ કામ સરકાર અને સંગઠનને અલગ રીતે અપાયું છે, જેમાં સરકારે સ્થાનિક પોલીસ અને આઈબીનો સહારો લીધો છે, જ્યારે સંગઠને ફેક્ટ ફાઇન્ડિંગના કેટલાક નેતાઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારોને આ કામગીરી સોંપી છે. કેટલાંક ઠેકાણે તો ભાજપ સિનિયર પત્રકારો પાસેથી પણ માહિતી એકઠી કરી રહ્યું હોવાની વાત હાલ ચર્ચામાં છે.