રાજકોટમાં આજે આશાવર્કર બહેનો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના આરોગ્યની સંભાળ લેતા આશાવર્કર બહેન બીમાર હોવા છતાં તેમની પાસે ફરજીયાત ફિલ્ડવર્ક તેમજ મિટિંગ કરાવાતા તેમનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ પણ આશાવર્કર બહેનો દ્વારા વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ તટસ્થ તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કોઠારિયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નયનાબેન મોલિયા બજાવતા ફરજ બજાવતા હતા. જોકે, તેમની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડો.યાસ્મીન દ્વારા તેમને રજા આપવામાં આવી નહોતી. એટલું જ નહીં તેમને ફિલ્ડવર્ક માટે મોકલી અને મિટિંગમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી. બાદમાં અન્ય બહેનોએ રજૂઆત કરતા તેઓને જવા દેવામાં આવ્યા હતા. બાદમાં પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈને અધિકારીઓ માનવતા ચુક્યા હોવાના આરોપ સાથે આજે આશાવર્કર બહેનો દ્વારા મનપા કચેરીએ વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મનપા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
મૃતક નયનાબેન મોલિયા સાથે ફરજ બજાવતા અર્ચનાબેને જણાવ્યું હતું કે, મારી
સાથે જ નોકરી કરતા નયનાબેન આજે દુનિયામાં રહ્યા નથી.
તેમનું ડેંગ્યુનાં કારણે મોત નીપજ્યું છે. તેઓ છેલ્લા 7 વર્ષથી
કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા હતા. ગત
12 સપ્ટેમ્બરે અમને ડેંગ્યુનાં સર્વે માટે મોકલવામાં આવ્યા
હતા. તેમની તબિયત અતિશય ખરાબ હોવા છતાં તેમને
ફરજ પાડવામાં આવી હતી. અહીં તેમણે સંપૂર્ણ કામગીરી
પુરી કરી હતી. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે તેમની તબિયત સાવ
લથડી હોવા છતાં મિટિંગમાં હાજર રહેવાની ફરજ પાડવામાં
આવી હતી. તેમની ઉપર દયા રાખવાને બદલે દવા આપીને
મિટિંગમાં બેસાડવામાં આવ્યા હતા.
ત્યારબાદ અમે તમામ આશા બહેનોએ વિરોધ કરીને તેમને રજા અપાવી હતી. બાદમાં તેના પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડેંગ્યુ હોવાનું સામે આવ્યું હતું. તેમજ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. માત્ર 32 વર્ષીય આશાવર્કર નયનાબેનનું મોત થતા પરિવારની હાલત દયનીય છે. તેમનો 8 વર્ષનો બાળક માતા માટે વલખા મારી રહ્યો છે. આમ છતાં અધિકારીઓ દ્વારા પરિવારને સાંત્વના પણ આપવામાં આવી નથી. એટલું જ નહીં મૃતકની કામગીરી બરાબર ન હોવાનો આરોપ લગાવાયો હતો.
પરમાર હરખુબેન નામના અન્ય આશાવર્કરે જણાવ્યું હતું કે, અમને આશાવર્કરોને
અવારનવાર ગમેત્યારે ફરજિયાત બોલાવવામાં આવે છે.
ગમે ત્યાં સુરક્ષાની ચિંતા કર્યા વિના મોકલી દેવામાં આવે છે.
અમારા નયનાબેનની તબિયત સારી નહીં હોવા છતાં તેમની
પાસે કામ કરાવવામાં આવ્યું હતું. જેને લઈ તેણીનું મોત
નીપજ્યું છે. ત્યારે તેમને રજા ન આપનાર ડો. યાસમીન સામે
કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત
કરવામાં આવી છે. નયનાબેનનાં પરિવારને પણ તંત્ર દ્વારા
ન્યાય આપવામાં આવે તે માટે મ્યુ. કમિશનરને અપીલ કરી
છે.
સમગ્ર મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, આજે આશાવર્કર બહેનોએ રજૂઆત કર્યા બાદ આ ઘટના અમારા ધ્યાનમાં આવી છે. તેમજ આ મામલે જવાબદાર મેડિકલ ઓફિસરની પૂછપરછ કરવામાં આવશે. તેમજ મૃતકની સાથે કામ કરતા અન્ય બહેનોની પૂછપરછ કરવામાં આવશે. નયનાબેનનું મોત શંકાસ્પદ ડેંગ્યુનાં કારણે થયું છે. ત્યારે તેમના રિપોર્ટની વિગતો અંગે પણ તપાસ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ આ માટે જવાબદાર જણાશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તબિયત સારી ન હોવા છતાં કોઈપણ આશાવર્કર પાસે કામગીરી કરાવી શકાય નહીં. આવી બેદરકારી અંગે તપાસ બાદ નિયમ મુજબ કરવાની ખાતરી પણ તેમણે આપી હતી.