અમદાવાદ
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે થયેલા કેસો પૈકીના કેટલાક કેસ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા હતા. ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્યાવત ફિલ્મ સમયે અને અસ્મિતા આંદોલન સમયે થયેલા કેસો પરત લેવાની માગ કરી છે. ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓને પત્ર લખી કેસો પરત લેવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પદ્માવત ફિલ્મ અને ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કુલ અંદાજિત 15 કેસ છે જેમાંથી બે કેસ પરત ખેંચાઈ ગયા છે. 13 જેટલા કેસ પરત ખેંચવાના બાકી છે.
સંકલન સમિતિ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે, ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન (2024), અને પદ્માવત ફિલ્મ (2018)ના વિરોધમાં ગુજરાતભરના ગામેગામ અને શહેરોમાંથી સ્વયંભૂ સામાજીક આંદોલન માટે ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનોએ વિરોધ નોંધવ્યો હતો. સમાજના દરેક વ્યક્તિની લાગણી દુભાયેલી હોવાથી, વિરોધ પ્રદર્શિત કરતી વખતે કાયદાની રાહે વિરોધ કરતા હતા તે વખતે આ સાથે સામેલ દર્શાવેલી વિગતો અને તે ઉપરાંત અન્ય કેસો રાજપૂત સમાજના યુવાનો ઉપર દાખલ થયા છે.
રાજપૂત સંકલન સમિતિના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ 10 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. મુલાકાત દરમિયાન આ મુદ્દાની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ રાજપૂત સમાજ અને અન્ય સમાજોના આંદોલનો દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેચવામાં આવશે એવી ખાતરી આપી હતી. પદ્માવત ફિલ્મ વિરોધ પ્રદર્શનમાં થયેલા પોલીસ કેસ પરત ખેંચવા માટે ગુજરાત સરકાર દ્વારા 2019માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી આ બાબતે કોઈપણ પ્રકારે અમલ થયો નથી.
તાજેતરમાં પાટીદાર સમાજના આંદોલન સમયના ગંભીર કેસોમાં સરકાર દ્વારા પોલીસ કેસો કર્યા હતા. જે તમામ પોલીસ કેસો સરકારે વિશાળ મન રાખી પાછા ખેંચ્યા છે. જેથી રાજપૂત સમાજના આંદોલનોમાં થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા સમગ્ર સમાજની માંગણી છે. જેથી રાજપૂત સમાજની લાગણીને ધ્યાનમાં રાખી ક્ષત્રિય અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા સામાજીક આંદોલનના પોલીસ કેસો પરત ખેચવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરાઈ છે.