Bhavnagar News: ભાવનગરના કપરામાં યુવાનની અત્યંત ક્રૂર હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરવામાં આવી છે. સામાન્ય બાબતને લઈને થયેલો વિવાદ છેક હત્યા સુધી પહોંચી ગયો હતો. હત્યાના પગલે આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
પોલીસે મૃતક યુવકનું ઘટનાસ્થળે જ પંચનામુ કર્યુ હતુ અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
યુવકની ઓળખ કરવામાં આવી રહી છે અને તેના સગાસંબંધીઓને તેની જાણ કરી દેવામાં આવી છે. તેની સાથે હત્યા પાછળના કારણો શોધવાનો પોલીસે પ્રારંભ કર્યો છે. આ હત્યાના કારણે શહેરના નાગરિકોમાં ભયનો માહૌલ છે. પોલીસ હવે જોઈ રહી છે કે આ હત્યા પાછળ કોઈ નાણાકીય લેતીદેતી કારણભૂત નથીને.
હમણા બે દિવસ પહેલાં જ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના ભુતેશ્વર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સામાન્ય બોલાચાલીનો વિવાદ એક યુવાનની ક્રૂર હત્યામાં પરિણમ્યો. 34 વર્ષીય પિયુષ મંગાભાઈ કંટારીયાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ લોહિયાળ ઘટના ગામની બિચ્છુ નોનવેજ રેસ્ટોરન્ટમાં રાત્રી ભોજન દરમિયાન બની, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ભુતેશ્વર ગામની બિચ્છુ નોનવેજ રેસ્ટોરન્ટમાં રાત્રે ભોજન દરમિયાન પિયુષ મંગાભાઈ કંટારીયા અને આરોપીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ. આ ઝઘડો ટૂંક સમયમાં હિંસક બન્યો અને આરોપીઓ, સુનિલ કંટારીયા અને હાર્દિક કંટારીયાએ, તીક્ષ્ણ હથિયારો વડે પિયુષ પર હુમલો કર્યો. આ હુમલામાં પિયુષને ગંભીર ઈજાઓ થઈ, અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. હત્યાની આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આઘાત અને ભયનું વાતાવરણ સર્જ્યું છે.