ગાંધીનગર શહેરના સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો ઓવરબ્રિજ 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં શાસકો દ્વારા તેના ઉદ્ઘાટનમાં કરવામાં આવી રહેલા વિલંબ સામે શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિલંબના કારણે આમ જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા આ બ્રિજને ‘સરદાર બ્રિજ’ નામ આપી તાત્કાલિક ખુલ્લો મૂકવા માગ કરાઈ છે.
58 કરોડના ખર્ચે બનેલો બ્રિજ હજુ સુધી ખુલ્લો મુકાયો નથી
ગાંધીનગર શહેરના સેક્ટર-26માં ક-6થી ખ-6ને જોડતો ઓવરબ્રિજ 58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ ગયો હોવા છતાં શાસકો દ્વારા હજી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. મહાનગરપાલિકા દ્વારા જેનો શિલાન્યાસ આશરે અઢી વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં ઉદ્ઘાટન પ્રેમી નેતાઓના કારણે તેને અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નહીં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ બ્રિજ ખુલ્લો નહીં મૂકવામાં આવતા કોલવડા, આદરજ મોટી, કલોલ અને માણસા તરફ અવરજવર કરનારા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે સમયસર પહોંચવામાં મોટી પરેશાની ઊભી કરે છે
બ્રિજનું નામ સરદાર પટેલ આપવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત
આ અંગે કોંગ્રેસના વોર્ડ 3 પ્રમુખ મેહુલ પટેલે કહ્યું કે, આજરોજ અમે શહેર કોંગ્રેસ વતીથી સરદાર પટેલનું નામ જે ભારત દેશના 500થી વધારે રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલનું આ બ્રિજને નામ આપવામાં આવે એના માટે શહેર કોંગ્રેસ સમિતિ વતીથી રજૂઆત કરીએ છીએ. આ બ્રિજને પ્રજા માટે ઝડપથી ખુલ્લો મૂકવામાં આવે. દસ દિવસની અંદર ખુલ્લો મૂકવામાં નહીં આવે તો શહેર કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરીને બ્રિજને ખુલ્લો મૂકશે તેવી પણ અમે કોર્પોરેશનને રજૂઆત કરીએ છીએ.