ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધા રોડ જોડાણ આપવા માટેની કવાયતમાં ઉવારસદથી વાવોલ ગામ સુધીનો નવો રસ્તો બાંધવાનો નિર્ણય કરાયો છે.
તેના માટે જમીન સંપાદન કરવાનું જરૃરી બની ગયું છે. આખરે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા માર્ગ માટે ઉવારસદ ગામ વિસ્તારના ૨૭ જેટલા સર્વે નંબરમાં આવતી જમીન સંપાદન કરવા માટે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની સાથે નિયત કરવામાં આવેલા ૨૭ જેટલા સર્વે નંબર પૈકીની જમીન નવા રોડના બાંધકામ માટે સંપાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી આ જમીન સંપાદનની પ્રક્રિયા સામે કોઇને વાંધો હોય તો વાંધા રજૂ કરવા માટે ૬૦ દિવસની સમય મર્યાદા નિયત કરવામાં આવેલી છે. અધિકારી સુત્રોએ જણાવ્યું કે સમય મર્યાદા પસાર થઇ ગયા બાદ કોઇની રજૂઆત સાંભળવામાં આવશે નહીં. જોકે આ પ્રક્રિયા દરમિયાન પણ હિત ધરાવતા વ્યક્તિઓ રોડની કામગીરીના સંબંધમાં કોઇ સરકારી કર્મચારી અથવા સર્વેયર જે તે જમીનમાં પ્રવેશ કરે તો તેને અટકાવી શકાશે નહીં. આ ઉપરાંત ત્યાં સર્વેની કામગીરી કરવામાં આવે તો તેને પણ રોકી શકાશે નહીં.
અધિકારી સુત્રોએ જણાવ્યું કે સંપાદન હેઠળ આવતી જમીનનું ક્ષેત્રફળ ખુબ નાનું છે, કુલ મળીને ૦.૪૩ હેકટર જેટલી જમીન રોડના બાંધકામ માટે જરૃરી બને છે અને આટલી જમીન જુદા જુદા ૨૭ સર્વે નંબરોમાં આવેલી છે. વધારામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કાયદાની જોગવાઇ અનુસાર જમીન સંપાદન કરવા સંબંધમાં જાહેરનામુ બહાર પાડી દેવામાં આવે ત્યાર બાદ કલેક્ટરની પરવાનગી મેળવ્યા વગર સંબંધિત જમીન કે તેનો કોઇ ભાગ કોઇપણ સ્વરૃપે વેચાણથી કે ભાડાપટ્ટે આપી શકાય નહીં. ઉપરાંતા તે જમીન ગીરવી મુકી શકાય નહીં અને નામ બદલવું કે નોંધણીમાં ફેરફાર કરી શકાશે નહીં.