અમદાવાદ
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ઉદયપુરમાં કન્હૈયા લાલજીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ “મોહમ્મદ રિયાઝ અત્તારી” એ બીજેપીનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. જેણે ભાજપના નેતાઓની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું હતું. મીડિયા રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે રિયાઝે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગુલાબચંદ કટારિયાના જમાઈ અને રાજસ્થાન વિધાનસભાના પૂર્વ કાઉન્સિલર અતુલ ચંડાલિયાની ફેક્ટરીમાં કામ કર્યું છે. તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ભાજપના ઘણા કાર્યક્રમોમાં જોવા મળી છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય આતંકવાદ પર રાજનીતિના પક્ષમાં રહી નથી. પરંતુ આજે જે સ્થિતિ પ્રવર્તે છે અને જે રીતે એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે જોડાયેલાની વિગતો સામે આવી રહી છે ત્યારે સવાલ પૂછવો જરૂરી બની જાય છે કે રાષ્ટ્રવાદની આડમાં ભાજપ દેશ સાથે ઘૃણાસ્પદ રમત કેમ રમી રહી છે? ભાગલાવાદી અને નફરતની વિચારધારા ફેલાવનારા લોકો ભાજપના સંગઠનમાં કેવી રીતે પદાધિકારીઓ છે, તે ચિંતાનો વિષય છે. જેની તપાસ કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની એક સમિતિની રચના કરી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી ભાજપે આત્મમંથન કરવું જોઈએ.
હુડ્ડાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિકો દ્વારા પકડાયેલા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓમાંથી એક તાલિબ હુસૈન શાહ ભાજપના કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું છે. જેની દેશના ગૃહમંત્રીની સાથે,બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથેની તસ્વીર પણ છે અને જ્યારે તે પકડાયો ત્યારે તે પવિત્ર અમરનાથ યાત્રા માટે જઈ રહેલા યાત્રીઓ પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. વધુમાં મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના કથિત માસ્ટર માઇન્ડ ઈરફાન ખાનના ભાજપ સાથે શું સંબંધ છે ? તે અંગે દેશ જાણવા માંગે છે. વર્ષ 2020માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને હથિયાર આપવા બદલ ભાજપના પૂર્વ નેતા અને સરપંચ “તારિક અહેમદ મીર”ની ધરપકડ કરવામાં આવી હતી. તારિક અહેમદ પર હિઝબુલ કમાન્ડર નાવેદ બાબુને હથિયારો આપવાનો આરોપ હતો, જેની ધરપકડ ડીએસપી દવિંદર સિંહ સાથે કરવામાં આવી હતી, જેણે આતંકવાદીઓને મદદ કરી હતી. NIA એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે “તારિક અહેમદ મીર” દવિન્દર સિંહનો સાથી છે. જો દવિન્દર સિંહના કેસની યોગ્ય તપાસ થઈ હોત તો સત્ય જાણી શકાયું હોત પરંતુ તપાસ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી.
વર્ષ 2017માં એટીએસની ટીમે મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કર્યો અને ૧૧ ISI શકમંદોની ધરપકડ કરી હતી. તેમાં ભાજપના આઈટી સેલના સભ્ય ધ્રુવ સક્સેના પણ હતા, જેની રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથેના ફોટા પણ હતા. વર્ષ ૨૦૧૭માં આસામના બીજેપી નેતા “નિરંજન હોજાઈ” ને વિશેષ NIA કોર્ટે આતંકવાદીઓને આર્થિક મદદ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. તે એક હજાર કરોડના નાણાકીય કૌભાંડ અને ટેરર ફંડિંગ કેસમાં દોષી સાબિત થયો હતો બે વર્ષ પછી, 2019 માં, મધ્યપ્રદેશમાં જ બજરંગ દળના નેતા “બલરામ સિંહ”ની આતંકવાદી ભંડોળના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ આટલેથી નથી અટકતી, ભાજપે સત્તા માટે દોષિત આતંકવાદીને ટિકિટ આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ શ્રીનગરના સ્થાનિક ચૂંટણીમાં વોર્ડ નંબર 33માંથી મસૂદ અઝહરના સાથી “મોહમ્મદ ફારૂક ખાન”ને ટિકિટ આપી હતી. જે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હરકત-ઉલ-મુજાહિદ્દીનનો સભ્ય રહી ચુક્યો છે.
ગુજરાત સંગઠન પ્રભારી રાજસ્થાનાના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ.રઘુ શર્માએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના ભવિષ્ય એવા યુવાનોને નશા, વ્યસનના અબજો રૂપિયાની ડ્રગ્સ અને નશાકારક પદાર્થ ઠલવાઈ રહ્યાં છે. સમગ્ર દેશમાં નશીલા પદાર્થ – ડ્રગ્સ પહોંચાડવા માટેનું ગુજરાત રાજ્ય એપી સેન્ટર બન્યું છે. જે આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ ચિંતાનો વિષય છે. ડ્રગ્સ – માદક – નશીલા પદાર્થોના સુનિયોજિત વ્યાપારને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટ, ડી.આર.આઈ., ઈ.ડી., સી.બી.આઈ. સહિતની સંસ્થાઓને વિપક્ષના નેતા – આગેવાનો પાછળ લગાવવાના બદલે ગુજરાતના નાગરિકોને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી ભાજપ કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપની નીતિના લીધે દેશના તમામ વર્ગના નાગરિકો હેરાન પરેશાન છે. બેરોજગારી, મોંઘવારી અને સતત રૂપિયાનું અવમુલ્યના લીધે સૌથી પડકાર જનક સમયમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. રાજસ્થાનમાં જે દુઃખદ ઘટના બની છે તે મુદ્દાઓ ગુજરાતની ચૂંટણીમાં પણ આવશે. ચૂંટણી આવે એટલે સરહદો સળગે છે, જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝઘડા કરાવવામાં આવે છે, નફરતની રાજનીતિ દ્વારા સત્તા મેળવવાની ભાજપની નીતિરીતિ ચાલી રહી છે જેનો ભોગ દેશના તમામ નાગરિકો બની રહ્યાં છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલ અને ભાજપ અને તેના સંહયોગી સંગઠનો ધ્રુવિકરણ કરીને જનતાનું ધ્યાન ભટકાવવા એક પછી એક રમત રમી રહ્યું છે. જે રીતે ઉદેપુરમાં દુઃખદ ઘટના બની પછી જે વિગતો સામે આવી તે અંગે ભાજપ કેમ મૌન છે ? જે રાજ્યમાં વિપક્ષની સરકાર હોય અને ચૂંટણી આવવાની હોય તે રાજ્યમાં જ કેમ આવી ઘટના સામે આવી રહી છે ? ભાજપના અનેક નેતાઓ સાથે આરોપીઓના ફોટા ફેસબુક ઉપર જોવા મળ્યા છે. આટલી બધી વસ્તુઓ સામે આવ્યા છતાં ભાજપ કેમ કશુ બોલતી નથી ? ભાજપે તાત્કાલીક ખુલાસો કરવો જોઈએ.