મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર રહેશે
અમદાવાદ
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો એટલે ’વિરાંજલિ’… વિસરાયેલા વીરોની વાત એટલે વિરાંજલિ… એમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ’વિરાંજલી’ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વિરાંજલિ સમિતિ દ્વારા અનોખો પ્રયોગ કરીને મલ્ટીમીડિયા શો દ્વારા નાટ્ય સ્વરૂપે ભાવનગરમાં આ ૧૪ મો શો યોજનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી આ કાર્યક્રમ યુનિવર્સિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૨૫ ઓગસ્ટના રોજ રાત્રે ૮-૦૦ કલાકે યોજાશે.
આ વિરાંજલિ કાર્યક્રમ ગુજરાતનો સૌથી મોટો અને પહેલો શો છે જે જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામભાઈ દવે દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. તેઓની એક આગવી ઓળખ અને પ્રતિભા છે. અને તેઓના લાખો ચાહકો છે. તેઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવનાર આ શો ભાવનગરે કોઇ દિવસ ન જોયો હોય તે પ્રકારનો અદભુત શો યોજાવાં જઈ રહ્યો છે. રાષ્ટ્રભક્તિ સાથે દેશને આગળ લઈ જવાં માટે આ કાર્યક્રમમાં જોવાં, સાંભળવાં, નિહાળવાં અને માણવાં માટે તેમણે ભાવનગરવાસીઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, સાંસદ, નગરના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવો જોડાશે.
આ અંગે લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દ્વારા મોરપીંચ્છ અને તિરંગો બંને એકસાથે ભેગાં થવાં જઈ રહ્યાં છે. ૧૫૦ કલાકારો દ્વારા આયોજિત આ ૧૮૫૭ થી ૧૯૩૭ સુધીની આપણાં સ્વાતંત્ર સંગ્રામની યાત્રા દર્શાવતો શો છે. પ્રદિપસિંહ વાઘેલા દ્વારા સાણંદના બકરાણાથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમનો આ ૧૪ મો શો યોજાવાં જઇ રહ્યો છે. આઝાદી પછી પહેલીવાર તિરંગો આપણાં ઘરે આવ્યો છે ત્યારે તેને માણવાં માટેનું તેમણે ભાવેણાવાસીઓને આમંત્રણ આપ્યું હતું. રંગભૂમિના ઇતિહાસમાં ન બન્યું હોય તેવું ડાન્સ, ડ્રામા અને ઈમોશન સાથેનું તાદ્રશ્ય વર્ણન હૃદયસ્પર્શી છે. કિર્તીદાન ગઢવી, ભૌમિક, ગીતા રબારી, દિવ્યાકુમાર સહિતના કલાકારોએ તેમાં ગાયું છે ગુજરાતીમાં ઝાંસીની રાણી પરનું સૌપ્રથમ ગુજરાતી ગીત તેમાં રજૂ થવાં જઈ રહ્યું છે. અમેરિકામાં જે રીતે બ્રોડવેમાં પ્રયોગો થાય છે તે રીતે વિરાંજલિ વ્હાલથી જીવશે. એ પ્રકારે તે રીતે તેને લાવવાનું સદભાગ્ય મને મળ્યું છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.મોતીઓની માળા પરોવવાનો આ કાર્યક્રમ છે તેમ જણાવી તેમણે શહીદોની પૂર્વગાથાઓ સાથે દેશવાસીઓને શું કરવું તે વિશેની વાત આ શો માં છેલ્લી સાત મિનિટમાં દર્શાવવામાં આવી છે. આમાં, સૌરાષ્ટ્ર, જામનગરના કલાકારો ભાગ લઇ રહ્યાં છે.
આ માત્ર ડ્રામા નથી પરંતુ એક એક્સપીરીયન્સ છે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવે અને આજના યુવાનને દેશભક્તિની સાચી દિશા ચિંધે છે. આપણો દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઈ રહી છે. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોના બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી આ વીરાંજલિ મલ્ટી મીડિયા શોનું આયોજન થયેલ છે.
યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે સાથેના, વીરાંજલિ સમિતિ, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વિરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ કરાશે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ – સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાંઇરામ દવેએ લખ્યું છે.
વીરાંજલિ કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવાં દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મોડિયા શો રજૂ કરવામાં આવશે. તેમાં ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભક્તિ ગીતોની રચના કરાઇ છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી તયા ભૌમિક શાહે સ્વર આપ્યો છે. તેમજ રાહુલ મુંજારીયાએ એકદમ ફ્યુઝન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે. ’વીરાંજલિ’ ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે ડિરેક્ટ કર્યું છે તથા અંકુર પઠાણે કોરિયોગ્રાફી કરેલ છે. સમગ્ર ઇવેન્ટ ધ વિઝ્યુલાઇઝરના સી.ઇ.ઓ.શ્રી જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કો-ઓર્ડિનેટ કરવામાં આવી છે.
સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રીપ્ટ લખી છે. તથા તેઓ સૌ પ્રથમવાર આ ડ્રામામાં અભિનય કરી રહ્યાં છે. ’વિરાંજલિ’ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે. આ કાર્યક્રમ તદન નિઃશૂલ્ક છે. પરંતુ પ્રવેશ માટે કાર્ડ મેળવી લેવાં જરૂરી રહેશે. નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય એવા ઉદ્દેશથી બનાવેલ છે. કાળની રેતીમા ગર્ત થયેલાં ક્રાંતિવીરોની કેટલીય સાવ અજાણી દિલધડક વાતો માણવાં માટે તૈયાર રહેજો. વધુ વિગત માટે www.viranjali.com વેબસાઇટ પર મુલાકાત લેવાની રહેશે.