તથ્ય પટેલના સોમવારે 24 તારીખ સુધીના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર : એફએસએલ રિપોર્ટમાં જગુઆર કારની સ્પીડ 160 કિલોમીટર હતી તેવું બહાર આવ્યું : તથ્ય સહિત અન્ય આરોપીઓના બ્લડ રિપોર્ટ લેતા દારૂ નહીં પીધો હોવાનો ખુલાસો થયો હતો
અમદાવાદ
અમદાવાદના એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈએ મોડી રાત્રે પૂરપાટ ઝડપે જગુઆર કાર દોડાવી 9 લોકોને કચડી નાંખ્યા હતા. આ કેસમાં જગુઆર ચલાવી રહેલા તથ્ય પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટ મિરઝાપુર ખાતે આઠમા માળે હાજર કરવામાં આવ્યો ત્યારે કોર્ટ રૂમ તેમજ કોર્ટની નીચે લોકોની ભીડ ખીચો ખીચ હતી.કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષના વકીલે લગભગ પોણો કલાક સુધી દલીલ કરી હતી. જે બાદ કોર્ટે આરોપી તથ્ય પટેલના સોમવારે 24 તારીખ સુધીના 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા હતા. તપાસ નો સમય ઓછો મળવાથી સરકારી વકીલે આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
તાજેતરના સમાચાર મુજબ એફએસએલ રિપોર્ટમાં જગુઆર કારની સ્પીડ 160 કિલોમીટર હતી તેવું બહાર આવ્યું . તથ્ય સહિત અન્ય આરોપીઓના બ્લડ રિપોર્ટ લેતા દારૂ નહીં પીધો હોવાનો ખુલાસો થયો હતો.સરકારી વકીલે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળતો નથી. ગાડીમાં હાજર લોકોની પણ તપાસ જરુર છે. તેમજ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ કરવી જરુરી છે. આરોપી પોલીસ તપાસમાં યોગ્ય સાથ સહકાર નથી આપતો.
આરોપીના વકીલ નિસાર વૈદ્યએ રજૂઆત કરી હતી કે, 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેના પર મીડિયા ટ્રાયલ થઈ. ઘટના સ્થળે 100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટનાસ્થળેથી આરોપીના પિતા લઈ ગયા તો તેમણે પણ આરોપી બનાવવામાં આવ્યા. કોર્ટ બહાર લોકોના ટોળા હોવાથી તથ્ય પટેલને કોર્ટમાં હાજર કરતી વખતે કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 3 પીઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે પરિસરમાં તેનાત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં ડીજીપી દ્વારા પણ તથ્ય પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી વકીલ નિશારે મીડિયા સમક્ષ તથ્યના આ કૃત્યો બદલ ભારતની પ્રજા સમક્ષ માફી માગી હતી. અને હું નિર્દય નથી તેવું પણ કબૂલ્યું હતું. સોમવારે જામીન માટે અરજી કરશે તેવું પણ નિશારે ઉમેર્યું હતું.
પોલીસે કરેલી કાર્યવાહી અનુસાર અકસ્માતને પગલે એસજી હાઇવે – 02 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કારચાલક તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279, 337, 338, 304, 504, 506 (2), 114 તેમજ મોટર વિહિકલ ઍક્ટ અધિનિયમની કલમ 177, 184 અને 134 (b) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં ઘટનાને ‘હચમચાવનારી અને આખા રાજ્યને શોકગ્રસ્ત બનાવનારી’ ગણાવી અને ‘પીડિતોને ઝડપી ન્યાય અપાવવાની’ પ્રતિબદ્ધતા દાખવી હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેસ રાજ્ય સરકારની ‘પ્રાથમિકતા’ હોવાનું અને ‘બાપ-દીકરાને કાયદાનું ભાન કરાવવાની કાર્યવાહી થાય એવું સુનિશ્ચિત કરવાનો’ વિશ્વાસ અપાવ્યો હતો.