ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીને કારણે દર્દીઓને ખોડ ખાંપણ રહી જતી હોવાના કિસ્સાઓ અગાઉ પણ જોવા મળ્યા હતા ત્યારે તાજેતરમાં થોડા દિવસો પહેલા એક યુવાન દર્દીના પગના ઘુંટણનું ઓપરેશન કર્યા બાદ યુવાનનો પગ સીધો થઇ જ શક્તો નથી જેના પગલે દર્દીએ વારંવાર વિનંતી અને અરજ કરવા છતા ડોક્ટર દ્વારા યોગ્ય ઉત્તર નહીં મળતા ગઇકાલે દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરોને મારવાની ધમકી આપવા ઉપરાંત પોલીસ ફરિયાદની ચિમકી પણ આપી હતી.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર દ્વારા અગાઉ એક યુવાનના દર્દીના પગનું ઓપરેશન કર્યું હતું.પગના ઘુંટણનું ઓપરેશન કર્યા બાદ દર્દીનો પગ વળશે તેવી તેને આશા હતા પરંતુ ઓપરેશન બાદ પગ ૪૦ ટકા વળતો જ નથી જેના કારણે દર્દીને ઉભા, બેસતા કે સુતા આ પગ વળેલો જ રહે છે. ઓપરેશન ફેઇલ ગયા બાદ દર્દીએ વારંવાર ઓર્થોપેડિક વિભાગમાં તથા સિવિલ સત્તાધીશોને આ બાબતે વિનંતી કરી હતી અને પગનું ફરી યોગ્ય ઓફરેશન કરવા માટે કહ્યું હતું તેમ છતા ડોક્ટોર દ્વારા યોગ્ય જવાબ મળ્યો ન હતો આખરે ગઇકાલે દર્દીના સગા રોષે ભરાયા હતા અને દર્દીની સાથે સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં આવીને હોબાળો મચાવ્યો હતો.
ઓર્થોપેડિક વભાગના વડા સામે પણ દર્દીના સગા જેમ ફાવે તેમ બોલતા હતા અને ડોક્ટોરોને મારવાની ધમકી પણ આપી હતી. અહીં હવે સારવાર નહીં થાય તેવી લેખિતમાં આપવા માટે પણ ડોક્ટરો પર દબાણ કરવામાં આવ્યું હતું. મામલો સિવિસ સુપ્રિટેન્ડેન્ટ સુધી પણ પહોંચ્યો હતો જ્યાં પણ દર્દીના સગા દ્વારા ઉગ્ર બોલાચાલી કરીને હોબાળો મચાવ્યો હતો સિવિલના સત્તાધીશોએ તાબડતોડ સિક્યોરીટી જવાનોને બોલાવી લેવામાં આવ્યા હતા.આખરે દર્દીના સગાએ પોલીસ ફરિયાદ કરવાની પણ ચિમકી આપી હતી.