આ દિવસોમાં ઇન્ડિયા vs ભારતને લઈને દેશમાં એક નવી ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર બંધારણ સાથે છેડછાડ કરીને ઇન્ડિયા શબ્દને હટાવીને તેની જગ્યાએ ભારત શબ્દનો સમાવેશ કરવા માગે છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયા નામને પચાવી શકતી નથી અને તેનાથી ડરી રહી છે. આ જ કારણ છે કે હવે બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિવાદ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીએ કહ્યું કે ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરી શકાય છે.
તુર્કીનું ઉદાહરણ આપતા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે તુર્કી દ્વારા પણ ગયા વર્ષે તેનું નામ બદલીને તુર્કીએ કરી દીધું હતું. આ રીતે ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવો ખોટું નહીં ગણાય. ફરહાને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર જ્યારે તેમની પાસે આવી વિનંતી આવે છે ત્યારે તે દેશોના નામ બદલવાનું વિચારે છે. તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં પણ આવી વિનંતીઓ મળતી રહેશે તો તેઓ તેના પર વિચાર કરવાનું ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી જી-20 સમિટમાં ભાગ લઈ રહેલા વિદેશી મહેમાનોને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું જેમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડીયાના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’લખવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો ઈન્ડિયા એલાયન્સ તેનું નામ બદલીને ભારત કરશે તો શું તેઓ ભારતનું નામ પણ બદલી દેશે? તેમણે કહ્યું કે દેશનું નામ માત્ર એટલા માટે બદલવામાં આવી રહ્યું છે કારણ કે વિરોધ પક્ષોએ તેમના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખ્યું છે.