ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી ડહોળું પાણી આવતી હોવાની બૂમરાણ ઉઠતાં કોંગ્રેસ નગરજનોની સમસ્યાના નિરાકરણ અર્થે મેદાને આવી ગઈ છે. આજે કોંગ્રેસ દ્વારા “પાણી નહીં તો વેરો નહીં” ના નાદ સાથે પાટનગર યોજના ઓફિસનો ઘેરાવો કરીને ભારે સૂત્રોચારો કર્યા હતા. તેમજ 24 કલાકમાં ડહોળા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કેન્દ્રીય ગૃહ મંત્રીનો કાફલો રોકવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉપરવાસમાં ભારે વરસાદ થયા પછી ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં વખતથી ડહોળું પાણી આવતું હોવાની ઠેર ઠેર બૂમરાણ ઉઠી છે. એક અઠવાડિયાથી પૂરતા ફોર્સથી પાણી નહીં આવતાં નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે. એક બે નહીં પણ સતત અઠવાડિયા સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં હવે કોંગ્રેસ મેદાને આવી ગઈ છે.
આજે કોંગ્રેસ દ્વારા પાણી નહીં તો વેરો નહીં ના સૂત્રોચારો સાથે પાટનગર યોજના ઓફિસનો ઘેરાવો કરીને પાણીની સમસ્યાનું 24 કલાકમાં નિરાકરણ લાવવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર અંકિત બારોટે કહ્યું હતું કે, ગાંધીનગરને સ્માર્ટ સીટી કહેડાવવા માટે અને નેતાઓને વહાલા થવા માટે ગાંધીનગરનું તંત્ર કોઈ મોકો છોડતું નથી. પરંતુ હકીકત સાવ જુદી છે. આ સ્માર્ટ સીટી ગાંધીનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની અછત છે.
ગાંધીનગરના નાગરીકો પોતાની મૂળભૂત જરૂરિયાત પાણી માટે વલખા મારી રહ્યા છે, ભાજપના કાઉન્સિલરો ફોન ઉપાડતા નથી અને ઉપાડે તો ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કરી વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીનગરના નાગરિક ટેન્કર મંગાવવા મજબુર બન્યા છે, કોને ફરિયાદ કરે તે સમજાતું નથી, પહેલા રોડ-રસ્તાના અભાવે અને હવે પાણીના અભાવે લોકો હેરાન થઇ રહ્યા છે.
ગાંધીનગરનું તંત્ર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. ગાંધીનગરના મેયર, ધારાસભ્ય કે અન્ય પદાધિકારીઓ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. જેનાં પગલે પાટનગર યોજના વિભાગના ડિવીઝન-3 ખાતે હલ્લાબોલ કરી “પાણી નહિ તો વેરો નહિ” ના સુત્રોચાર સાથે અધિકારીઓને 24 કલાકમાં પાણીની સમસ્યા હલ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.પાટનગર યોજના વિભાગની ઓફિસની નીચે પાણીના વેરાની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આગામી 24 કલાકમાં જો પાણી મુદ્દે પ્રશ્ન હલ નહિ થાય તો ગાંધીનગરના સાંસદ અમિત શાહના ગાંધીનગર ખાતેના પ્રવાસમાં તેઓના કાફલાને રોકી તેઓને આ બાબતની જાણ કરી રજૂઆત કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.