ગાંધીનગરના પાલજ બ્રિજ પર ગઈકાલે રાતે ઓવરટેક દરમિયાન આઈસરના ચાલકે પોતાની ટ્રક અચાનક આગળ લાવી દેતા કિયા કાર તેની પાછળ ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માત કારમાં સવાર એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સાત લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાલ માણેકબાગ સોસાયટીમાં રહેતો હસમુખ મોહનભાઈ પંચાલ શીવ વિશ્વકર્મા ઈન્ડ્રસ્ટ્રીમાં લોખંડના ઘોડા બનાવી વેચાણ કરી વેપાર કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે હસમુખ, તેની પત્ની રીનાબેન, દીકરો યુવાન, માતા ઈન્દિરાબેન, બનેવી રાજેશભાઈ પંચાલ, બહેન કોમલબેન અને બે ભાણીઓ કેન્વી તથા તન્વી સાથે કિયા કારમાં કુળદેવી ત્રીપુળા સુંદરી માતાના મંદીર બાસવાડા ખાતે દર્શન કરી પરત અમદાવાદ જઈ રહ્યા હતા.
તે વખતે શામળાજી પછી હોટલમાં જમીને હસમુખે કાર ચલાવા લીધી હતી. જેની બાજુમાં તેના બનેવી તથા તેમના ખોળામાં ભાણી કેન્દ્રી બેઠી હતી. જ્યારે અન્ય પરિવારના સભ્યો કારની પાછળની સીટમાં બેઠા હતા. આશરે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં હસમુખ મોટા ચિલોડાથી નરોડા જતા પાલજ પાટીયા બ્રીજ ઉપર કાર બંને રોડ વચ્ચેના ડીવાયડર બાજુમાં ચલાવતો હતો. આ દરમિયાન આગળ જતી આઈસર ટ્રકને ઓવરકોટ કરવાની તેણે કોશિશ કરી હતી. તેજ વખતે આઈસર ચાલકે અચાનક તેની ટ્રક કિયા ગાડીની આગળ લાવી દીધી હતી અને કિયા કાર ટ્રકની પાછળ જમણી સાઈડમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત થતાં આસપાસના રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. કારમાં સવાર તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે હસમુખની ભાણી કેન્વીને મૃત જાહેર કરી હતી. બાદમાં સગા વહાલા અન્ય ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બેભાન હાલતમાં રાજેશભાઈને વેન્ટિલેટર પર રાખી સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે ડભોડા પોલીસે આઈસરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.