પાણીપુરીનાં શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરામાં પાણીપુરીની શોખીન યુવતીને મગજ, ખભા અને કોણીમાં ગાંઠો થઈ ગઈ છે. રોજ પકોડી ખાવાનાં કારણે ટિનિયાસોલિયમ નામનાં કૃમિ યુવતીનાં મગજમાં પહોંચી ગયા હતા. જે બાદ આ કૃમિએ મગજમાં ઈંડા મૂક્યા હતા. યુવતીના ખભા અને કોણી અને મગજમાં ભાગે ગાંઠો થઈ ગઈ હતી. આ બીમારીને ન્યૂરોસિસ્ટી સર્કોસિસ કહેવાય છે.
વડોદરામાં રહેતી યુવતીને દરરોજ પકોડી અને ભેળ ખાવાની આદત હતી. છેલ્લા દોઢ મહિનાથી યુવતીને માથાનો દુખાવો, ચક્કર અને નબળાઈ આવતી હતી. તેને ખભા, કોણીના ભાગે લાલ રંગની ગાંઠ પણ થઈ ગઈ હતી. ઓર્થોપેડિક સારવાર બાદ પણ યુવતીને કોઈ ફરક પડ્યો ન હતો. જે બાદ તેણે ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન કારેલિયાનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરે ગાંઠની સોનોગ્રાફી કરાવતાં ગાંઠમાંથી દ્રાક્ષ જેવો ગુચ્છો દેખાયો હતો. જે બાદ બ્લડ રિપોર્ટમાં સામે આવ્યું કે યુવતીના શરીરમાં કૃમિનાં ઈંડા છે. મગજના એમઆરઆઈ કરાવતાં પણ મગજમાં કૃમિ અને તેનાં ઈંડા હોવાનું સામે આવ્યું હતું.
દોઢ મહિનાની સારવાર બાદ હાલ યુવતીનાં શરીરમાં કૃમિ તો છે નહીં. પણ મગજમાં કૃમિને કારણે એક ડાઘ રહી ગયો છે. જેના કારણે તેને જિંદગીભર ખેંચ આવવાની શક્યતા રહેલી છે. ભારતમાં દસ હજારે આવો એક દર્દી જોવા મળે છે.
ન્યૂરોસિસ્ટી સર્કોસિસનાં લક્ષણોઃ
શરીરમાં વિવિધ જગ્યાએ ગાંઠ નીકળે
હલનચલનમાં તકલીફ થાય.
ઝીણો તાવ રહે
નબળાઇ આવે
વજનમાં ઘટાડો થાય
કૃમિની અસર મહિનાઓ બાદ દેખાઈ છે
ખોરાક કે પ્રવાહીમાં વ્યક્તિના શરીરમાં કૃમિના ઇંડા પ્રવેશ્યા છે કે લારવા તેના પર આ કૃમિની સક્રિયતાનો આધાર છે. જો લારવા ગયા હોય તો અમુક દિવસો કે અઠવાડિયા અને ઇંડા ગયા હોય તો કેટલાક મહિના બાદ તેની અસર દેખાય છે.
શરીરનાં અંગો પર કરી શકે છે ગંભીર નુકસાન
આ કૃમિ ચામડી ઉપરાંત લીવર, સ્નાયુઓ અને મગજ સુધી પહોંચે છે, આંખમાં લાંબો સમય અસર કરે તો અંધાપો પણ લાવી શકે છે. આ કૃમિ જો વિકસે તો દસથી બાર ફૂટના થઇ શકે છે. મગજને પણ કાયમી નુકસાન કરી શકે છે.
કૃમિ આ રીતે શરીરમાં પહોંચે છે
ભૂંડના મળમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે પાણીમાં ભૂંડે કે કૃમિ ધરાવતાં કોઇએ પણ મળત્યાગ કર્યો હોય તે પાણીથી શાકભાજી ધોવામાં આવે તો પાણીના કૃમિ શાકભાજી પણ ચોંટી જાય છે અને તે શરીરમાં પ્રવેશે છે.