ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) દ્વારા SGVP કેમ્પસ, અમદાવાદ ખાતે આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે પ.પુ. માધવપ્રિયદાસજી સ્વામી, પ.પુ. અવધેશાનંદ મહારાજ, પ.પુ. પરમાત્માનંદજી મહારાજ, પ.પુ. ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, શ્રી ભિખુસંઘસેનીજી, પ.પુ. બાલસ્વામીજી મહારાજ સહિત સન્માનનીય સંતવૃંદ અને ખુબ જ વિશાળ સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતાં.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ SGVP ગુરુકુલ આવું ત્યારે પોતાના ઘરે આવ્યાનો આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થાય છે, શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ધારાસભ્યોને વર્ષમાં ૩ દિવસ ભાજપના સિદ્ધાંત, કાર્યસંસ્કૃતિ અને દેશને આગળ લઈ જવા માટે ચિંતન કરવા અભ્યાસ વર્ગના આયોજનનો આગ્રહ રાખતા ત્યારે આ સ્થળે સંતોના આશીર્વાદ અને પવિત્ર વાતાવરણમાં ભાજપના અનેક અભ્યાસ વર્ગો યોજાયા છે અને અમને સદાચાર અને દેશભક્તિના પાઠ શીખવાનું સૌભાગ્ય મળ્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે. વ્યક્તિનિર્માણ થકી રાષ્ટ્રનિર્માણની પરંપરાને SGVP ગુરુકુલે આત્મસાત કરી છે. અહીં બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંસ્કૃતિના સંસ્કાર સિંચિત થાય છે, ગુરુકુલથી બહાર નીકળેલું બાળક રાષ્ટ્રભક્ત બનીને બહાર નીકળે છે. SGVP ગુરુકુલે અસંખ્ય રાષ્ટ્રભક્ત અને વિદ્વાન નાગરિકો ફક્ત ગુજરાત નહી સમગ્ર દેશને આપ્યા છે. SGVP ગુરુકુલ સદાચાર, નીતિમત્તા, પ્રામાણિકતા, વેદોનું જ્ઞાન, વ્યસનમુક્તિ, ગૌસેવા, વિજ્ઞાન, સંસ્કૃત, સંગીત, ખેલ સહિત સંપૂર્ણ શિક્ષાનો વાંગમય બની જમીનથી જોડાયેલા રહેવાના સંસ્કાર સંચિત કરી અનેકોના જીવનમાં દીપ પ્રજ્વલિત કર્યા છે. આ સંસ્થા નિરપેક્ષતા સાથે સમાજસેવાના અવિરત સેવાયજ્ઞથી દેશને ઉત્તમ નાગરિક આપી રહી છે. દેશભરમાં સ્વામિનારાયણ સંતોએ સંસ્કારની સરવાણી વહાવી છે, જેનો ગુજરાતને સૌથી વધુ ફાયદો થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંસ્થાનોની કામગીરી વગર ગુજરાતના સર્વ શિક્ષાનું અભિયાન અધૂરું છે. આ સંસ્થાએ આદિવાસી ક્ષેત્રોની અંદર ધર્માંતરણ રોકવા મુક્સેવકની જેમ કાર્ય કર્યું છે. SGVP ગુરુકુલ એટલે રાષ્ટ્રભક્તિ, આધ્યાત્મિકતા અને આધુનિક શિક્ષાનો સમન્વય.
શ્રી શાહે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશના કરોડો નાગરિકો કે જેઓ ભારતને ચાહે છે, ભારત શબ્દમાં જેઓની શ્રદ્ધા છે તે સર્વેની દેશને નવી દિશા મળે તેવી ઈચ્છા હતી પરંતુ દેશ સાચી દિશા ન પકડી શક્યો. ૧૯૫૦થી અનેક પેઢીઓએ, કાર્યકરોએ મહાન ભારતની રચના થાય તે માટે પોતાનું જીવન ખપાવ્યું અને એ જ મુજબ કાર્ય કરતા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદી જનતાના આશીર્વાદથી પહેલા મુખ્યમંત્રી અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બન્યા અને આજે સમગ્ર વિશ્વ ભારતનું યશોગાન કરી રહ્યું છે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરાણના સ્થાનને શિવશક્તિ પોઇન્ટ નામ આપી ચંદ્રમા પર ભગવાન સોમનાથનું સ્થાન પ્રસ્થાપિત કરવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. કોરોના મહામારી સમયે વિદેશી નિષ્ણાંતોને ભય હતો કે, ભારત વધુ આબાદીને કારણે અતિ ભયાનક પરિસ્થિતિમાં પહોંચશે પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત, નિર્ણાયક અને દૂરંદેશી નેતૃત્વમા દેશવાસીઓએ આત્મસંયમનો પરિચય આપ્યો અને કોરોના સામેની લડાઈ મક્કમતાપૂર્વક લડ્યો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન પહેલા પહેલા જનતા કર્ફ્યુની અપીલ કરી અને દેશ કોઈપણ જાતના નોટીફીકેશન વગર દેશ સંપૂર્ણ રીતે ઘરમાં રહ્યો. વેક્સિન શોધાયા બાદ ભારતે ટેકનોલોજીનો ઉપયોગથી મોનીટરીંગ કરી અભૂતપૂર્વ ઢબે દેશના ખૂણે ખૂણે ૧૪૦ કરોડ દેશવાસીઓને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપી તે એક વિશિષ્ટ સિદ્ધિ છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશ વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪માં હતાશા અને નિરાશાની ગર્તમાં હતો જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના પ્રધાનમંત્રી બન્યા બાદ ૨૦૧૪ થી ૨૦૨૪માં છેલ્લા દસ વર્ષમાં વિશ્વમાં સર્વપ્રથમ બનવા કૃત સંકલ્પિત થઈ આગળ વધી રહ્યો છે. આજે વિશ્વમાં આધ્યાતમથી આયુર્વેદ સુધી, સોશીયલ સાયનસ થી સોલાર સુધી, મેથ્સ થી મેટાવર્સ સુધી, શૂન્યથી અંતરિક્ષ સુધી ભારતનો દબદબો વધી રહ્યો છે. ૨૦૪૭માં દેશ જ્યારે આઝાદીની શતાબ્દી બનાવશે ત્યારે દેશ તમામ ક્ષેત્રે પ્રથમ હોય તેવા ભારતના નિર્માણનો સંકલ્પ કરી જનતા આગળ વધી રહી છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામનો જન્મ થયો તે સ્થળે ભવ્ય રામ મંદિર બને તે માટેના દેશવાસીઓના ૫૫૦ વર્ષના સંઘર્ષનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અંત આવ્યો છે. વર્ષો સુધી અયોધ્યામાં શ્રી રામના મંદિરના વિષયને અદાલતમાં અટકાવી, લટકાવી રાખવામાં આવ્યો, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ તમામ માર્ગ ખુલ્યા અને ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ તેમના ઘરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ૨૨ મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી પુન: સ્થાપના અને દેશના અમૃતકાળની શરૂઆત કુદરતનો ઈશારો છે કે, આગામી ૨૫ વર્ષ ભારતનો સ્વર્ણિમ સમય છે. ફક્ત અયોધ્યા જ નહી, કાશી વિશ્વનાથ ધામ, ઉજ્જૈન મહાકાલ કોરિડોર, કેદારનાથ, બદ્રીનાથ, સોમનાથ અને પાવાગઢ સહિતના તીર્થસ્થાનો ભવ્ય બન્યા છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારે ભારતનું અર્થતંત્ર દુનિયામાં ૧૧ માં સ્થાને હતું જે આજે પાંચમા ક્રમાંકે છે બને ૨૦૨૪માં ફરી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી બન્યાં બાદ ૨૦૨૭ માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણી પુરાતન શિક્ષા પરંપરાની પ્રેરણા અને આધુનિક શિક્ષા વ્યવસ્થાના સમન્વયથી નવી શિક્ષા નીતિ અમલમાં આવી રહી છે. આજે ભારત મોબાઈલના સૌથી મોટા ઉત્પાદક બનવા તરફ આગળ વધી રહ્યું છે, સ્ટાર્ટઅપમાં અને રીન્યુએબલ એનર્જીમાં આપણે ત્રીજા ક્રમાંકે પહોંચ્યા છીએ.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને સલામતી મજબૂત કરવાનું કાર્ય થયું છે, દેશમાં અલગાવવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓના જન્મ માટે જવાબદાર કલમ ૩૭૦ ના કલંકને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ એક ઝાટકે સમાપ્ત કરી. આતંકવાદ સામે ઝીરો ટોલેરંસની નીતિ અપનાવી સર્જિકલ અને એર સ્ટ્રાઈક દ્વારા ભારતની સેના અને સીમા જોડે છેડખાની કરવા બદલ કપરા પરિણામો ભોગવવા પડશે અને ઘરમાં ઘૂસીને જવાબ મળશે તેવો કડક સંદેશ આતંકવાદીઓ અને દેશવિરોધીઓને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે. નક્સલવાદીઓ અને નોર્થ ઇસ્ટમાં અનેક યુવાનોએ હથિયાર મૂક્યા અને મુખ્ય પ્રવાહમાં આવ્યા છે.