વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી અમલી બનાવેલ સીટીઝનશિપ એમન્ડમેન્ટ એકટથી મોરબીમા વસવાટ કરતા અંદાજે 950 જેટલા પાકિસ્તાની શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા મળશે.હાલમાં મોરબીના આજુબાજુના વિસ્તારમાં પાકિસ્તાની હિન્દૂ નાગરિકો વસવાટ કરે છે જેમાં સોઢા દરબાર, આહીર, રબારી બ્રાહ્મણ, કોળી અને અનુસૂચિત જાતિના નાગરિકોનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનમાં લઘુમતી ગણાતા હિન્દૂ નાગરિકો ઉપર થતા અત્યાચારને કારણે અનેક નાગરિકો ભારતમાં આવી વસવાટ કરી રહ્યા છે જેમાં મોરબીમાં પણ 1048 પાકિસ્તાની નાગરિકો શરણાર્થી બનીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. ખાસ કરીને મોરબી શહેર ઉપરાંત મકનસર, ધરમપુર, ટિમ્બડી, રંગપર, વાવડી અને પીપળી સહિતના વિસ્તારમાં હાલમાં પાકિસ્તાનથી આવેલા હિન્દૂ નાગરિકો વસવાટ કરી રહ્યા છે.
મોરબીમાં વર્ષોથી વસવાટ કરતા હિન્દૂ રેફ્યુજી એવા 1048 નાગરિકો પૈકી 48 નાગરિકોને સરકારના નિયમ મુજબ ભારતીય નાગરિકતા મળી ચુકી છે અને હજુ પણ 950 જેટલા લોકો નાગરિકતા મેળવવાનો ઇન્તજાર કરતા હતા તેવા સમયે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીએએ એટલે કે સિટીઝનશીપ એમેડમેન્ટ બિલ લાગુ કરતા પાકિસ્તાનથી આવેલા નાગરિકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.
હાલમા મોરબી શહેર અને આજુબાજુના દસેક કિલોમીટરના વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકો વસવાટ કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે ક્ષત્રિય સોઢા દરબાર, આહીર, રબારી અનુસૂચિત જાતિ સમાજ, કોળી અને બ્રાહ્મણ કુટુંબોનો સમાવેશ થાય છે એ નાગરિકો પાકિસ્તાનમા યાતના ભરી જિંદગી છોડી ભારતમાં શરણ મેળવ્યું છે.