મહારાષ્ટ્રના નાગપુરમાં 300 કરોડની સંપત્તિ હડપ કરવા માટે પુત્રવધૂએ તેના જ સસરાને સોપારી આપીને હત્યા કરી નાખી. શરૂઆતમાં આ કેસને અકસ્માત તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતા અને પરિવારજનોએ વ્યક્ત કરેલી હત્યાની આશંકાથી ઘટનાને અલગ જ વળાંક આવ્યો હતો. વાસ્તવમાં, 22 મેના રોજ નાગપુરના માનેવાડા કોમ્પ્લેક્સમાં પુરૂષોત્તમ પુટ્ટેવાર (82 વર્ષ)ને કારે ટક્કર મારી હતી.
આ ઘટનામાં તેમનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
ઘટના બાદ મૃતકના ભાઈએ પોલીસ અધિકારીને હત્યાની શંકા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી ત્યારે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા. આ કેસમાં સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલક નીરજ નિમજે અને સચિન ધાર્મિકની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓએ અર્ચના પુટ્ટેવાર પાસેથી પૈસા લીધા હતા અને કાર વડે તેના સસરાને ટક્કર મારી હતી.
આ સોપારી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પુત્રવધૂ અર્ચનાની નજર પુરુષોત્તમની 300 કરોડની પૈતૃક સંપત્તિ પર હતી. ખાસ વાત એ છે કે અર્ચના સરકારી અધિકારી હોવાની હકીકત પણ સામે આવી છે. આ સમગ્ર મામલાને લઈને નાગપુરના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે આજતકને જણાવ્યું કે આ મામલો હાઈપ્રોફાઈલ છે. નાગપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ટૂંક સમયમાં પોલીસ આ કેસ સાથે સંબંધિત તમામ આરોપીઓની ધરપકડ કરશે અને આ સોપારી હત્યાનો ભેદ ઉકેલશે. આ ઘટના સાથે સંકળાયેલા બીજા ઘણા ચહેરાઓ સામે આવવાના બાકી છે.