અમદાવાદ શહેરમાં લક્ઝરી બસના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજ્યમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઈકોટ બુધવારે (14મી ઑગસ્ટ) આરટીઓ અધિકારી, ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીના અધિકારીઓને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા.
જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે સમગ્ર સીસ્ટમ ખાડે ગઈ હોઈ અને જનતા ભયંકર રીતે હેરાન થઈ ત્રાહિમામ પોકારી ગઈ છે, તેને લઈ આ સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. હાઇકોર્ટે એક તબક્કે બહુ જબરદસ્ત માર્મિક ટકોર કરતાં સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, ‘તમે બધાં પબ્લીકને સમજો છો શું? કોઇ ત્રસ્ત થયેલો માણસ બળવો કરશે, ત્યારે તમે સરખુ કામ કરશો. તમે આરટીઓ કચેરી પ્રજા માટે ચલાવો છો કે એજન્ટો માટે.
હાઇકોર્ટે કાયદા અને નિયમોનું પાલન કરાવી જરૂરી પગલાં ભરવા અને ચાર સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આરટીઓ, ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ કમિશનર, ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી સહિતના અધિકારીઓને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, ‘શું ચાલે છે તમારી આરટીઓમાં આ બધુ? વ્હીકલ ટ્રાન્સફર કરવા માટે આવે તો તેમાં છ-છ મહિના સુધી ટ્રાન્સફર થતા નથી. મોટર વ્હીકલ એકટમાં શું જોગવાઇ છે? જણાવો. વાહનનો માલિક કોણ ગણાય? આજે કોઇ માણસ તેનું વાહન વેચી દે પછી પણ તમે મહિનાઓ સુધી તે ટ્રાન્સફર ના કરો તો, જવાબદાર કોણ? એજન્ટ રાખો તો જ કામ થાય એવું છે. સામાન્ય જનતાને કેમ તકલીફ પડે છે?’