રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે વેલ્વેટ હસ્તગત કરી : એફએમસીજી પોર્ટફોલિયો મજબૂત બનશે

Spread the love

આઇકોનિક ભારતીય હેરિટેજ બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવા અને તેનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ

ચેન્નાઈ

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) નવીન સેશે પેકેજિંગ સાથે પર્સનલ કેરના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતી આઇકોનિક એફએમસીજી બ્રાન્ડ વેલ્વેટના હસ્તાંતરણની જાહેરાત કરી છે. વેલ્વેટનું કાયમી લાયસન્સ પ્રાપ્ત કરવા સાથેનું આ વ્યૂહાત્મક હસ્તાંતરણ નક્કર પાયા સાથે ભવિષ્યનો બિઝનેસ તૈયાર કરવા માટેની રિલાયન્સની નિરંતર જારી પ્રતિબદ્ધતા સાથે એકદમ સુસંગત છે અને આધુનિક ગ્રાહકો માટે ભારતની પ્રિય હેરિટેજ બ્રાન્ડ્સને નવપલ્લવિત કરી તેને પુનઃ રજૂ કરવામાં આવી રહી છે.

વેલ્વેટના ઉત્પાદનોનો સમાવેશ આરસીપીએલના હાલના પોર્ટફોલિયોનો પૂરક બની રહેશે, આ પોર્ટફોલિયો પોસાય તેવા ભાવે ભારત દ્વારા પ્રેરિત વૈશ્વિક-ગુણવત્તાના ઉત્પાદનો ઓફર કરવા સાથે રોજિંદા જીવનને સશક્ત બનાવવાના વિઝન પર તૈયાર કરવામાં આવે છે.

વારસા અને ભાવિ વૃદ્ધિનું સશક્તિકરણ

આરસીપીએલની વૃદ્ધિ માટેનું વિઝન માત્ર વિસ્તરણથી વિશેષ છે – ઉત્પાદનને આજના ગ્રાહકો માટે વધુ સુસંગત બનાવીને સમયની કસોટી પર ખરી ઉતરી ચૂકેલી પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ્સને પુનઃસ્થાપિત કરવા અને તેનું સંવર્ધન કરવાની કામગીરી કંપનીની પ્રતિબદ્ધતામાં ઊંડે સુધી મૂળિયા ધરાવે છે. આ હસ્તાંતરણ સાથે આરસીપીએલનો હેતુ વેલ્વેટની મજબૂત બ્રાન્ડમાં નવું જીવન લાવવા અને તેના સમૃદ્ધ વારસા પર નવું નિર્માણ કરવાનો, તેના કદ, તકનીકી ક્ષમતાઓ અને ભારતીય ગ્રાહકોની ઊંડી સમજણનો લાભ લેવાનો છે.

“અમે રિલાયન્સ પરિવારમાં વેલ્વેટનું સ્વાગત કરવા માટે રોમાંચિત છીએ,” તેમ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું હતું. “વેલ્વેટની નવીનતાનો અદ્દભૂત વારસો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સને લાખો લોકો માટે સુલભ બનાવવામાં તેની મુખ્ય ભૂમિકા ખરેખર નોંધપાત્ર છે. અમે આ વારસાને આગળ વધારવા, તેની તકોમાં વધારો કરવા અને વેલ્વેટને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સાહિત છીએ, જે તેને ગ્રાહકોના જીવનનું વધુ અભિન્ન અંગ બનાવશે.”

ભારતીય બ્રાન્ડ્સને નવપલ્લવિત કરી અને પુનઃપ્રસ્થાપિત કરવી

વેલવેટનો વારસો તેના સ્વપ્નદૃષ્ટા સ્થાપક ડો. સી. કે. રાજકુમાર સાથે ગાઢ રીતે ગૂંથાયેલો છે, જેમને ઘણીવાર “સેશે કિંગ” તરીકે ઓળખવામાં આવે છે. ડો. સી. કે. રાજકુમારે 1980માં બિઝનેસનું સુકાન સંભાળ્યું હતું, તેમણે એક ક્રાંતિકારી વિચારને અમલી બનાવ્યો હતો જેણે પર્સનલ કેર પ્રોડક્ટ્સને ભારતીય ઘરો સુધી પહોંચાડવાની પદ્ધતિને બદલી નાખી હતી. વેલવેટનું અભૂતપૂર્વ સંશોધન વર્ષ 1980માં શેમ્પૂ માટે પીવીસી પિલો પાઉચ તરીકે સામે આવ્યું હતું, “એક શ્રીમંત વ્યક્તિ જેનો ઉપયોગ કરે છે તે ગરીબ વ્યક્તિને પણ પરવડી શકે તેવી હોવી જોઈએ” તેવા ડો. સી. કે. રાજકુમારના પિતા શ્રી આર. ચિન્નીક્રિષ્નનના વિઝનથી ઉપરોક્ત સંશોધન પ્રેરિત હતું. આ સંશોધન એક ગેમ-ચેન્જર હતું જેણે પર્સનલ કેર ઉત્પાદનોને માત્ર સસ્તાં જ નહીં પરંતુ લાખો ગ્રાહકો માટે સુલભ પણ બનાવ્યા હતા. તેના ફ્લેગશિપ શેમ્પૂથી શરૂ કરીને પર્સનલ કેર અને ઘરગથ્થુ જરૂરિયાતની વસ્તુઓની વિશાળ વિવિધતાનો સમાવેશ કરીને વેલવેટે વર્ષો સુધી તેની પ્રોડક્ટ રેન્જને વિસ્તારી છે.

હસ્તાક્ષર સમારંભમાં બોલતા સુજાતા રાજકુમાર અને અર્જુન રાજકુમારે જણાવ્યું હતું કે, “અમે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે જોડાતાં અને વેલ્વેટ માટે આ નવા પ્રકરણની શરૂઆત કરવા માટે રોમાંચિત છીએ. આરસીપીએલ ઉત્પાદનોની પહોંચને વિસ્તૃત બનાવીને અને અધિકૃત વેલ્વેટ ઉત્પાદનોને વ્યાપક, આધુનિક ગ્રાહકો સુધી લઈ જઈને વેલ્વેટમાં નવા પ્રાણ ફૂંકવામાં મદદ કરશે.”

આ હસ્તાંતરણ સાથે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ઉદ્દેશ્ય વેલ્વેટના નવીનતાના સમૃદ્ધ વારસા અને ગ્રાહકના ઊંડા વિશ્વાસનો લાભ લેવાનો છે. આ હસ્તાંતરણ પર્સનલ કેર અને એફએમસીજી ક્ષેત્રે રિલાયન્સની હાજરીને પણ મજબૂત બનાવે છે, કારણ કે કંપની ભારતીય ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવા માટે નિરંતર તકો શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *