f4ff53e2-ad62-4ec2-9223-7604baa4af5c
રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, પૂર્વ પ્રમુખ જી.પી.સી.સી જગદીશભાઈ ઠાકોર હાજર,આર.ટી.ઓ સર્કલ પાસે આવેલ પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ
અમદાવાદ
ગુજરાતના સ્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 31મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા પરીવારજનો સાથે રાજ્યસભાના સાંસદશ્રી નરહરીભાઈ અમીન, પૂર્વ પ્રમુખશ્રી જી.પી.સી.સી જગદીશભાઈ ઠાકોર સહિત રાજકીય, સામાજીક, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોએ નર્મદાઘાટ ખાતે પાર્થનાસભામાં હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ તેમની આર.ટી.ઓ સર્કલ પાસે આવેલ પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ચીમનભાઈ પટેલ. રાજ્યના બે વખત મુખ્યમંત્રી બન્યા.૧૯૬૭માં ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચુંટાયા અને ૧૯૭૩માં પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ, જનતા દળ-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનવાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા. જે જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર હતી. ૨૫ ઓક્ટોબર, ૧૯૯૦માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૩૪ ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા. ચીમનભાઈ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન અનેક સાહસિક નિર્ણયો લીધા હતા. જેનાથી ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ થઇ હતી. ગુજરાતના બંદરો, રિફાઇનરીઓ અને વીજ પ્લાન્ટોમાં ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી શરૂ કરીને ગુજરાતના વિકાસ માટે પાયો નાંખવાનો શ્રેય ચીમનભાઈ પટેલને જાય છે. હૃદયરોગના હુમલાથી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ ચીમનભાઈ પટેલનું અવસાન થયું હતું.