શ્રી સોમનાથ મંદિરના કાર્યક્રમો
- દર્શન પ્રારંભ સવારે 4 કલાકે
- પ્રાતઃમહાપુજા પ્રારંભ 06:00 કલાકે
- પ્રાત: આરતી 07:00 કલાકે
- લઘુરુદ્ર યાગ સવારે 07:30 થી (મંદિર યજ્ઞશાળામાં)
- શ્રી પાસેશ્વર પૂજન સવારે 08:00 કલાકે (મારુતિ ખીચ)
- નૂતન ધ્વજારોહણ સવારે 08:30 કલાકે
- પાલખી યાત્રા સવારે 09:00 કલાકે
- ઋષિકુમારો દ્વારા શાંતિપાઠ સવારે 9થી 10 કલાકે
- શ્રી સોમનાથ પાઘ પૂજન-શોભાયાત્રા 10થી 11 કલાકે
- પરિસર મધ્યાન મહાપૂજા 11:00 કલાકે
- મધ્યાન આરની બપોરે 12:00 કલાકે
- બિલ્વપૂજા બપોરે 1:30થી 02:30 કલાકે
- મહામૃત્યુંજય યજ્ઞ બપોરે 3થી 6:30 કલાકે.
- શૃંગાર દર્શન સાંજે 4થી 8:30 (શિવરાત્રિ મહાતય શુંમારા
- સંધ્યાવંદન-પુરુયુક્ત પાઠ સાંજે 6થી 6:45 કલાકે
- સંધ્યા આરતી સાંજે 07:00 કલાકે
- શિવરાખી પ્રક્ષાલ પૂજબ રાત્રે 8:30 કલાકે
- શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે 8:40 કલાકે
- શિવરાણી પ્રથમ પ્રહર આરતી 9-30 કલાકે
- શિવરાત્રી જ્યોતપૂજન 10:15 કલાકે
- શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન 11:00 કલાકે
- શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી 12:30 કલાકે
- સિવરામી તૃતીય પ્રહર પૂજન 2:45 કલાકે
- શિવરાત્રી તૃતીય પ્રહર આરતી 3:30 કલાકે
- શિવરાણી ચતુર્ય પ્રકર પૂજન પ્રાતઃ 4:45 કલાકે
- શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી સવારે 5.30 કલાકે
સોમનાથ/વેરાવળ
શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણાં કરવામાં આવ્યા છે. 24થી 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોક-વે પર “સોમનાથ મહોત્સવ”માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે.
ગત વર્ષે બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતી યોજાશે.
શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજા અને સોમેશ્વર પૂજા કરાવવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને અનુલક્ષીને શ્રી સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ અને પીઠિકા બમણા કરવામાં આવ્યા છે. જેમાં સવારે 8થી 9, 9થી 10, 10થી 11, 12:30થી 01:30, 02:00થી 03:00, 03:00થી 04:00, 04:00થી 05:00, 05:00થી 06:00, 07:30થી 08:30 તેમજ રાત્રે 08:30થી 09:30, મધ્યરાત્રિએ 01:00થી 02:00, 02:00થી 03:00 વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે.
આ સાથે જ ભાવિકોની પ્રિય ધ્વજા પૂજા અને રૂદ્રાભિષેક સર્વોત્તમ અનુભવ સાથે ભાવિકો કરાવી શકે તેના માટે મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ કર્મચારીઓ અને માળખાકીય વ્યવસ્થા ગોઠવીને યાત્રીઓને અભૂતપૂર્વ અનુભવ આપવા આયોજન કરાયું છે.
મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષરૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તા. 26/02/2025ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે.
આ પૂજા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવશે. જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભક્તોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવશે. ગત 2 વર્ષથી યોજાતી આ પૂજા ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.
આ વર્ષે હજારો ભક્તોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે. જેનું રજીસ્ટ્રેશન ચાલુ છે.
તા. 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ ત્રી-દિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને સંગીતમય અને નૃત્ય સભર શૈલીમાં દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર કલાકારો દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.
મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર “રૂ.25માં બિલ્વ પૂજા સેવા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા ગત 2 વર્ષથી ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા અનેકવિધ ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રીના પર્વ પર એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી છે. વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારનાર હોય ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રિમ મહત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે.
વિશેષમાં આ વખતે પહેલી વખત સફાઈ માટે સ્ટ્રાઇકિંગ ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ અસ્વચ્છ દેખાય તો આ ટીમનો સંપર્ક કરી તુરંત સ્વચ્છતા કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવનાર છે.