અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જલ એક્વા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કંપનીમાં આગ દરમિયાન કામદારનું દાઝી જતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જીઆઇડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આજે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી, એવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ બાજુમાં આવેલી બી. આર.એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઇ હતી, જેને લઇ દોડધામ મચી જવા પામી હતી.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ આઠ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતાં માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમને લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું આનુમાન છે. જોકે આગ લાગવાનાં કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે. અંકલેશ્વરના પાનોલીમાં લાગેલી આગના આકાશી દૃશ્યો સામે આવ્યાં છે, જેમાં જોઇ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં અગન જ્વાળા અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે. જલ એક્વા અને બી.આર.એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું.