ઉત્તર પ્રદેશના કાનપુરના ચમન ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીનગર સ્થિત પાંચ માળની ઈમારતમાં રવિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગી તે સમયે ઈમારતમાં એક જ પરિવારના પાંચ લોકો ફસાયા હતા. જે બાદ માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. રેસ્કયુ ઓપરેશન દરમિયાન તમામ પાંચ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ પાંચેયને મળત જાહેર કર્યા.
તમને જણાવી દઈએ કે રાત્રે એક ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ૮ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ઘટના સમયે બિલ્ડિંગમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી શકાયા નથી. મળત્યુ પામેલાઓમાં પતિ, પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. એડીસીપી સેન્ટ્રલ કાનપુર રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે ૫ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જોકે તેમણે મળત્યુ વિશે કોઈ માહિતી આપી ન હતી.
મળતી માહિતી મુજબ આ ઈમારતમાં ગેરકાયદેસર રીતે જૂતાની ફેક્ટરી ચાલી રહી હતી. કાનપુરના ચીફ ફાયર ઓફિસર દીપક શર્માએ જણાવ્યું કે જે ઇમારતમાં આગ લાગી છે તે ચામડાની ફેક્ટરી છે. દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કાનપુરમાં લાગેલી આગની ઘટનાની નોંધ લીધી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી.
ભીષણ આગને ધ્યાનમાં રાખીને, આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. સમગ્ર વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે.