ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે : સૈનિકોને કહ્યું,”નાસ્તો કરવામાં જેટલો સમય લાગે એટલામાં તો તમે દુશ્મનનો ખાતમો બોલાવી દીધો”

Spread the love

કચ્છ-ભુજ
જમ્મુ-કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ‘ઓપરેશન સિંદૂર’એ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયાં હતાં. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે (શુક્રવારે) ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. રાજનાથ સિંહ હવે સ્મૃતિવનની મુલાકાત લેશે.
સૈનિકોનો જુસ્સો વધારતાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે હું તમને અભિનંદન આપવા આવ્યો છું. હું ગઈકાલે જ શ્રીનગરમાં બહાદુર સૈન્ય સૈનિકોને મળીને પાછો ફર્યો છું. હું આજે તમને મળી રહ્યો છું. તમે ઓપરેશન સિંદૂરમાં ચમત્કારિક કામ કર્યું છે. તમે ભારતને ગર્વ અનુભવ કરાવ્યો છે. હું આપણા સૈનિકોને સલામ કરું છું. મને તમારા બધાની વચ્ચે રહીને ગર્વ થાય છે. ભુજ 1965 અને 1971ના યુદ્ધોમાં આપણી જીતનું સાક્ષી રહ્યું છે અને આજે પણ તે ઓપરેશન સિંદૂરની સફળતાનું સાક્ષી છે.​​​​​​ ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા છે. હું તમામ જવાનોને અભિનંદન આપું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પરાક્રમ જ નથી દેખાડ્યું, પણ દુનિયાને પ્રમાણ પણ આપ્યું છે કે હવે જૂનું નહીં, નવું ભારત છે.
તમારી ઊર્જા જોઈને મને ઉત્સાહ થાય છે. ઓપરેશન સિંદૂર નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આ કામગીરીમાં તમે જે કર્યું છે એના પર બધા ભારતીયોને ગર્વ છે. પાકિસ્તાનની ધરતી પર ઊગતા આતંકવાદના અજગરને કચડી નાખવા માટે ભારતીય સેના માટે 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો અને પાણી આપવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં તમે તમારા દુશ્મનો સાથે વ્યવહાર કર્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દુનિયાએ તણાવ વચ્ચે ભારતની તાકાત જોઇ છે, મને જવાનો પ્રત્યે ગર્વ છે. ભારત માત્ર વિદેશમાંથી ઈમ્પોર્ટ કરેલાં હથિયાર પર નિર્ભર નથી, બ્રહ્મોસ મિલાઈલની તાકાતને પાકિસ્તાને જોઈ લીધી છે. ઓપરેશન સિંદૂરનું નામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ ઓપરેશનમાં તમે લોકોએ જે કર્યું એ કાબિલેદાદ છે. આતંકવાદ વિરુદ્ધ ચલાવેલા આ અભિયાનનું નેતૃત્વ એરફોર્સે કર્યું છે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે તમે પાકિસ્તાનની અંદર મિસાઇલો છોડી છે, આખી દુનિયાએ એનો પડઘો સાંભળ્યો. તમારી બહાદુરીનો, સૈનિકોના બહાદુરીનો એ પડઘો. ભારતીય વાયુસેનાએ અસરકારક ભૂમિકા ભજવી હતી, જેની વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. આતંકવાદ સામેની આ ઝુંબેશનું નેતૃત્વ વાયુસેના દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક એવું આકાશ દળ છે, જેણે પોતાની બહાદુરી અને બહાદુરીથી નવી ઊંચાઈઓ સ્પર્શી છે.
રક્ષામંત્રીએ કહ્યું હતું કે આપણી વાયુસેના પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચે છે એ કોઈ નાની વાત નથી. હું એરબેઝ પર આવ્યો છું, તેથી જ હું આ અંગે ચર્ચા કરી રહ્યો છું. ભારતનાં લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનના દરેક ખૂણા પર પ્રહાર કરવા સક્ષમ છે. આખી દુનિયાએ જોયું કે તમે 9 આતંકવાદી ઠેકાણાંનો નાશ કેવી રીતે કર્યો. બાદમાં તેમના એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યાં. ભારતની યુદ્ધ નીતિ અને ટેક્નોલોજી બદલાઈ ગઈ છે. આ વખતે તમે સમગ્ર વિશ્વને નવા ભારતનો સંદેશ આપ્યો છે. આ સંદેશ છે કે ભારત ફક્ત આયાતી શસ્ત્રો પર નિર્ભર નથી, ભારતમાં બનેલાં શસ્ત્રોએ પણ આપણી શક્તિમાં વધારો કર્યો છે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાને બ્રહ્મોસ મિસાઇલની શક્તિ સ્વીકારી, એક પ્રખ્યાત કહેવત છે – દિવસમાં તારા જોવા. બ્રહ્મોસે રાતના અંધારામાં પાકિસ્તાનને દિવસનો પ્રકાશ બતાવ્યો. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીમાં DRDOની આકાશ અને અન્ય રડાર સિસ્ટમ્સની પ્રશંસા થઈ રહી છે. દુશ્મનના ડ્રોન આવ્યાં ત્યારે નાગરિકો ભાગી રહ્યા ન હતા, તેઓ હવાઈ સંરક્ષણ દ્વારા ડ્રોનને તોડી પાડવામાં આવતાં વીડિયો બનાવી રહ્યા હતા.
રક્ષામંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન ફરીથી તેના નાશ પામેલા આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે સરકાર મસૂદ અઝહરને 14 કરોડ રૂપિયા આપવા જઈ રહ્યું છે, જે પાકિસ્તાની નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતો ટેક્સ છે. મારું માનવું છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા આપવામાં આવેલાં નાણાંનો દુરુપયોગ આતંકવાદી માળખાના નિર્માણ માટે કરશે. શું આ આતંકવાદી ભંડોળ નથી? IMFએ પાકિસ્તાનને ભંડોળ આપવાનું ટાળવું જોઈએ અને ભવિષ્યમાં આવા કોઈપણ ભંડોળ પર પણ વિચાર કરવો જોઈએ. અમે નથી ઇચ્છતા કે પાકિસ્તાનને પ્રત્યક્ષ કે પરોક્ષ ભંડોળ આપવામાં આવે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે હવે આતંકવાદ સામેની લડાઈ માત્ર સુરક્ષાનો મુદ્દો નથી રહ્યો, પરંતુ એ રાષ્ટ્રીય સંરક્ષણનો એક ભાગ બની ગયો છે. આપણે એને જડમૂળથી ઉખેડી નાખીશું. હવે ભારત પહેલાં જેવું ભારત નથી રહ્યું, એક નવા ભારતનો જન્મ થયો છે. આપણે આપણા પ્રિય શ્રીરામના માર્ગ પર ચાલી રહ્યા છીએ, જેમ તેમણે પૃથ્વી પરથી રાક્ષસોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એવી જ રીતે આપણે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાની પ્રતિજ્ઞા પણ લઈ રહ્યા છીએ.
સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે અમે સાથે સત્યમ સમાચારેના માર્ગને અનુસરી રહ્યા છીએ, એટલે કે ટિટ ફોર ટેટ. અમે શાંતિ માટે અમારા હૃદય ખુલ્લા રાખ્યા છે અને શાંતિ ભંગ કરનારાઓ માટે પણ અમારા હાથ ખુલ્લા રાખ્યા છે. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, આ તો ફક્ત ટ્રેલર છે, સમય આવશે ત્યારે અમે દુનિયાને સંપૂર્ણ ચિત્ર બતાવીશું. વર્તમાન યુદ્ધવિરામમાં અમે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે. જો તેના વર્તનમાં કોઈ ખલેલ પડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
રક્ષમંત્રી રાજનાથ સિંહ હવે સ્મૃતિવનની મુલાકાત લેશે. આ ઉપરાંત ભુજિયા ડુંગરની તળેટીમાં કચ્છને હચમચાવનારા ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાત દરમિયાન તેઓ ભૂકંપ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવશે.
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનાં આતંકી સ્થળો ઉપર સફળ એરસ્ટ્રાઈક કરી હતી, જેના પગલે રાઘવાયા થયેલા પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હવાઈ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ તંગ સ્થિતિની વ્યાપક અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ થઈ હતી, જેને લઇને બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના નાપાક હુમલાને હવાઈ ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા હતા. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ દ્વારા સરહદી સુરક્ષા સ્થળોની મુલાકાત અંતર્ગત આજે કચ્છના ભુજ એરબેઝની પણ રક્ષામંત્રી મુલાકાતે આવી રહ્યા છે, જે ચોક્કસથી દેશની સલામતી કેટલી મજબૂત છે એ દર્શવવા અને સેનાની ત્રણેય પાંખનો જુસ્સો વધારવા માટેનું પગલું ગણી શકાય છે.
ભુજ એરબેઝ પાકિસ્તાન સરહદથી 160 કિલોમીટર દૂર છે અને એરબેઝ ભારતની મોટી તાકાત છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો. આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો ત્યારે ભુજ શહેરમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. કચ્છમાં ઘણાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *