
જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણને બ્લૂમબર્ગને જણાવ્યું છે કે આ એવિએશન ઇન્સ્યોરન્સ ક્લેમ ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ક્લેમ હોઈ શકે છે. જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એવી કંપનીઓ પૈકી એક છે જેણે એર ઇન્ડિયાને કવરેજ આપ્યું છે. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના છેલ્લા એક દાયકામાં થયેલી સૌથી દર્દનાક ઘટના છે, જેણે એવિએશન ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. તેનું મુખ્ય કારણ છે વીમાનો દાવો, જે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો છે. આ દાવાની અંદાજિત કિંમત ૪૭૫ મિલિયન ડોલર એટલે કે ₹૪,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.
વીમામાં નુકસાનની કિંમત કેટલી છે?ઃ નારાયણન અનુસાર વિમાનના બોડી અને એન્જિન માટેનો ક્લેમ લગભગ ૧૨૫ મિલિયન ડોલર એટલે કે ₹૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો છે. તેમણે અનુમાન લગાવ્યું છે કે મુસાફરો અને અન્ય લોકોના જીવના નુકસાન માટેના વધારાના ક્લેમ લગભગ ૩૫૦ મિલિયન ડોલર એટલે કે ₹૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના હશે. બ્લૂમબર્ગના આંકડા અનુસાર, ૨૦૨૩માં ભારતમાં એવિએશન ઇન્ડસ્ટ્રી માટેના વાર્ષિક પ્રીમિયમની સરખામણીમાં આ ખર્ચ ત્રણ ગણો વધુ છે. ગુરુવારે પશ્ચિમ ભારતના અમદાવાદના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં થયેલા વિમાન અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૧ લોકો અને અન્ય લોકોના મોત થયા હતા, જેના નાણાકીય પરિણામો સમગ્ર ગ્લોબલ એવિએશન ઇન્સ્યોરન્સ અને રીઇન્સ્યોરન્સ માર્કેટને અસર કરશે. બ્લૂમબર્ગ અનુસાર તેનાથી ભારતમાં એરલાઇન્સ માટે વીમો મોંઘો થવાની પણ સંભાવના છે.
બ્લૂમબર્ગના સૂત્રો અનુસાર ભારતમાં એવિએશન ઇન્ડસ્ટ્રીમાં વીમા પ્રીમિયમમાં વધારો થવાની અપેક્ષા છે, કાં તો આ અત્યારે થઈ શકે છે અથવા તો પોલિસી રિન્યુઅલ દરમિયાન થશે. એર ઇન્ડિયાના વીમા ચુકવણી પર, કુલ ખર્ચ વધી શકે છે કારણ કે દુર્ઘટનામાં વિદેશી નાગરિકો માર્યા ગયા હતા. બ્લૂમબર્ગે જણાવ્યું કે તે ક્લેમ્સની ગણતરી તેમના સંબંધિત દેશોના નિયમો અનુસાર કરવામાં આવશે. નારાયણને બ્લૂમબર્ગને જણાવ્યું કે વીમાકર્તાઓ પહેલા વિમાન સંબંધિત દાવાઓનું સમાધાન કરશે, ત્યારબાદ જવાબદારીના દાવાઓનું સમાધાન કરશે. તેમણે કહ્યું કે લાયબિલિટી ક્લેમ્સનું સમાધાન થવામાં થોડો સમય લાગશે. બ્લૂમબર્ગ અનુસાર સ્થાનિક બજાર પર અસર આંશિક રીતે એ હકીકતથી ઓછી થશે કે બંને કંપનીઓએ ઉડ્ડયનમાંથી તેમના કુલ વીમા પ્રીમિયમનો ફક્ત ૧ ટકા જ કમાયો, અને તેનો મોટાભાગનો હિસ્સો ગ્લોબલ રીઇન્સ્યોરર્સને આપી દીધો છે. મોટાભાગે, સ્થાનિક વીમા કંપનીઓએ તેમના એવિએશન ઇન્સ્યોરન્સ ડાયરેકટ રિટર્ન પ્રીમિયમ અથવા DWP નો ૯૫ ટકાથી વધુ હિસ્સો ગ્લોબલ રીઇન્સ્યોરર્સ કંપનીઓને આપી દીધો છે. આના કારણે નાણાકીય બોજ મુખ્યત્વે ગ્લોબલ રીઇન્સ્યોરર્સ કંપનીઓ પર પડશે, જેનાથી એવિએશન ઇન્સ્યોરન્સ અને રીઇન્સ્યોરન્સ માર્કેટમાં સખ્તાઈ આવશે.