
અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ વિમાની ઉડ્ડયનમાં સતત અનુભવાઈ રહેલા ભય વચ્ચે એરઈન્ડિયાની લંડન-મુંબઈ ફલાઈટમાં કેબીન ક્રુ સહિત 11 મુસાફરો અચાનક જ માંદા પડી જતા કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. એરઈન્ડિયાએ પણ આ ઘટના બની હોવાનું સ્વીકાર્યુ હતું પણ દાવો કર્યો હતો કે ફકત પાંચ મુસાફરો અને કેબીન ક્રુના બે સભ્યોના જ આરોગ્યને અસર થઈ છે. બોઈંગ 777 એરક્રાફટની ફલાઈટ નં.એઆઈ130 લંડનથી મુંબઈ આવવા રવાના થઈ હતી તે સમયે પહેલા કેટલાક મુસાફરોએ ઓકસીજન સપ્લાય અંગે ફરિયાદ કરી હતી અને બાદમાં કેટલાક મુસાફરોને અચાનક જ બેચેની તથા પેટમાં ગડબડ હોવાનો પણ અહેસાસ થયો હતો. જેમાં બે ક્રુ મેમ્બરે પણ આવી જ ફરિયાદ કરી હતી. જો કે વિમાને મુંબઈમાં સલામત લેન્ડીંગ કર્યુ હતું અને અગાઉથી જ તૈયાર રખાયેલી મેડીકલ ટીમે જે મુસાફરોની ફરિયાદ હતી તેમની તપાસ કરી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી.
એરઈન્ડિયાના દાવા મુજબ બાદમાં તમામ મુસાફરોને તબીબી સહાય બાદ રજા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં જે કેબીન ડિપ્રેસરાઈઝેશનની સ્થિતિ બની તેનું કારણ ઓકસીજન સપ્લાય ઓછુ હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારે ઓકસીજનનું પ્રેસર ઘટી જાય તો તુર્તજ મુસાફરના ઉપરની પેનલમાંથી ઓકસીજન માસ્ક આપોઆપ બહાર આવી જાય છે. પરંતુ આ ફલાઈટમાં તેવું બન્યુ ન હતું તેથી ઓકસીજન સપ્લાય અંગેની શકયતા નકારાઈ હતી. જયારે હવે ફુડ પોઈઝનીંગ એટલે કે વિમાનમાં જે ફુડ અને સ્નેકસ પીરસવામાં આવ્યા હતા તે અંગે તપાસ થઈ રહી છે. મુસાફરોને જે ફુડ અપાયુ હતું તે પછી પાયલોટને ભોજન અપાયુ હતું પરંતુ નિયમ મુજબ બંનેને અલગ અલગ કીચનમાંથી સર્વ થયેલ ભોજન અપાયુ હોવાનું એરઈન્ડિયાનો દાવો છે તેમ છતાં પણ બે પાઈલોટને અસર થઈ હતી તે આશ્ચર્યજનક છે.