“અમારી સરકાર ‘ઝીરો ટોલરન્સ’ પોલિસીથી કામ કરી રહી છે ભ્રષ્ટાચાર કરનાર કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં પણ ન નહીં આવે” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં જાહેરાત કરી કે, ગામડાંની સાફસફાઈ માટે ગ્રામ પંચાયતોને અપાતી ગ્રાન્ટ હવે બમણી કરવામાં આવશે.
અગાઉ, ગામની સ્વચ્છતા જાળવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ ₹4 ની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીના આ નવા નિર્ણય મુજબ, હવે ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ ₹8 ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે પંચાયતોને વધુ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ સ્વચ્છતાના સ્તરમાં સુધારો લાવવામાં મદદરૂપ થશે. આ જાહેરાતથી નવનિયુક્ત સરપંચો અને સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તેમને તેમના ગામડાંને વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવામાં મદદ મળશે.
ગુજરાતના નવનિયુક્ત સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચાર અંગે કડક ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પૈસા પાછળ પડવા જેવું નથી. અમારી સરકાર ‘ઝીરો ટોલરન્સ’ પોલિસીથી કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરનાર કોઈને છોડવામાં આવ્યા નથી અને છોડવામાં પણ ન નહીં આવે.” તેમણે નવા ચૂંટાયેલા પદાધિકારીઓને કોઈની દોરવણીમાં ન આવવાની સલાહ આપી હતી.