ઈસનપુરના વારાહી મંદિર ચોરી કેસમાં બેની ધરપકડ, મુદ્દામાલ રિકવર કરાયો

Spread the love

 

ઈસનપુરના વારાહી માતાના મંદિરમાં બે તસ્કર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને માતાજીની ચાંદીનું છત્ર સહિત કુલ રૂ.1.79 લાખની મતાની ચોરી કરી હતી. આ મામલે ઈસનપુર પોલીસે સુરેશ ભીલ (ઉ.27 રહે, નારોલ ગામ) અને સુમિત ભીલ (ઉ.19 રહે, નારોલ ગામ)ને ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બંને આરોપીની વધુ તપાસ કરતા હકીકત સામે આવી છે કે, ઈસનપુર અને આનંદનગર વિસ્તારમાં ચોરીના અગાઉના ગુનાનો પણ ભેદ આ સાથે ઉકેલાયો છે. આ ઉપરાંત બંને આરોપી અમદાવાદના જુદા જુદા છ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયા પણ હતા.
ઈસનપુરમાં વારાહી માતાના મંદિરમાં ગત 6 જુલાઈએ થયેલી ચોરી અંગે બે અજાણ્યા શખ્સો સામે ઘરફોડનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બી.એસ.જાડેજા અને તેમની ટીમે ફૂટેજમાં જે બે શખ્સ દેખાતા હતા તેમને સ્થાનિક બાતમીદાર મારફતે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની અને હાલ નારોલ ગામમાં રહેતા સુરેશ ભીલ અને સુમિત ભીલની ધરપકડ કરીને મંદિરમાં ચોરી થયેલ કુલ રૂ.1.79 લાખના મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીની તપાસ કરતા પકડાયેલા આરોપીમાંથી સુરેશ ભીલ અગાઉ કાગડાપીઠ, દાણીલીમડા, મણિનગર સહિતના છ ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે તેમજ આ આરોપીઓએ ભેગા મળી આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈકની ચોરી પણ કરી હોવાનું સામે આવ્યું છે. જે ચોરીની બાઈક પણ ઈસનપુર પોલીસે રિકવર કરી છે. પકડાયેલા આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા નીકળ્યા હતા તે પહેલાં તેઓની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *