
સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોજકા અને ધંધુકા વચ્ચેના માર્ગ પર મોડી રાત્રે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે બની હતી. બસના ચાલકને ઝોકું આવી જતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાતા જ બસમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધીન મુસાફરોની ચિચિયારીઓ સંભળાઈ હતી. બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા, જેમાં 15 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થતો હતો. ઘટનાની જાણ થતાં જ ધોલેરા અને ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જોકે, કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.