ગ્રુપ કમાન્ડર, બ્રિગેડિયર શ્રી એન.વી. નાથ દ્વારા અમદાવાદ ગવર્નમેન્ટ પૉલિટેકનિકના NCC કેડેટ્સ અને એસોસિયેટ NCC ઓફિસર્સ (ANOs)ને NCC જનરલ ઇલેક્ટિવ ક્રેડિટ કોર્સના સફળ અમલ માટે સન્માનિત કરવામાં આવ્યા
અમદાવાદ
NCC ગ્રુપ હેડક્વાર્ટર, અમદાવાદ ખાતે ગ્રુપ કમાન્ડર, બ્રિગેડિયર શ્રી એન.વી.નાથ દ્વારા અમદાવાદ ગવર્નમેન્ટ પૉલિટેકનિકના NCC કેડેટ્સ અને એસોસિયેટ NCC ઓફિસર્સ (ANOs)ને NCC જનરલ ઇલેક્ટિવ ક્રેડિટ કોર્સના સફળ અમલ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) હેઠળ NCC જનરલ ઇલેક્ટિવ ક્રેડિટ કોર્સ અમલમાં મૂકનાર ગુજરાતની પહેલી સંસ્થા તરીકે અમદાવાદની સરકારી પોલીટેકનીક કોલેજે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કોર્ષ વર્ષ 2021થી સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે.એન.સી.સી. જનરલ ઇલેક્ટિવ ક્રેડિટ કોર્સ જે શૈક્ષણિક અને સહપાઠ્ય(ઈત્તર પ્રવૃત્તિઓ) પ્રવૃત્તિઓ વચ્ચેની કઠોર ભેદરેખાને દૂર કરવાનો ઉદ્દેશ ધરાવે છે અને તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP), 2020 સાથે સુસંગતતા ધરાવે છે. UGC, AICTE અને DGNCCએ NCC વિષયને જનરલ ઇલેક્ટિવ ક્રેડિટ કોર્સ તરીકે અમલમાં મૂકવાની ભલામણ કરી છે. NEP, 2020 મુજબ NCC હવે ફક્ત પૂરક પ્રવૃત્તિ નહીં, પરંતુ શૈક્ષણિક અભ્યાસક્રમનો ભાગ બની ચૂકી છે
2021 બેચના પરિણામ મુજબ કેડેટ્સ દ્વારા કુલ વધારાના 24 ક્રેડિટ્સ પ્રાપ્ત કરવામાં આવ્યા છે, જે આ કોર્સના મૂલ્ય અને અસરકારક અમલને દર્શાવે છે.વધુમાં શ્રી એન.વી. નાથે NCC કેડેટ્સને દેશનિર્માણમાં નેતૃત્વ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, યુવાનો માટે NCC એ માત્ર તાલીમ નહિ, પણ દેશસેવા માટેનો એક મજબૂત પાયો છે.
આ પ્રસંગે ગ્રુપ કમાન્ડર, બ્રિગેડિયર શ્રી એન.વી. નાથ દ્વારા કમાન્ડિંગ કર્નલ શ્રી વી.કે. શર્મા, ગ્રુપ હેડક્વાર્ટરના અધિકારીશ્રી કર્નલ હિંદુજા તથા ગવર્નમેન્ટ પૉલિટેકનિકના લેફ્ટનન્ટ ડૉ. સુશ્રી દુહિતા લાખતરિયા, લેફ્ટનન્ટ ડૉ. શ્રી પંકજકુમાર શર્માને કોર્ષ અમલીકરણ કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

