મહારાષ્ટ્રમાં CSDS ડિરેક્ટર સંજય કુમાર વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસે FIR નોંધી

Spread the love

 

 

 

 

મહારાષ્ટ્ર પોલીસે બુધવારે રાજકીય વિશ્લેષણ સંગઠન સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ના ડિરેક્ટર સંજય કુમાર વિરુદ્ધ FIR નોંધી છે. તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 175, 353 (1) (B), 212 અને 340 (1) (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સંજય પર ખોટી માહિતી આપવા અને ચૂંટણી સંબંધિત ઉલ્લંઘનનો આરોપ છે.
17 ઓગસ્ટના રોજ સંજયે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકો પર ઓછા મતો અંગે પોસ્ટ કરી હતી. જોકે, 19 ઓગસ્ટના રોજ તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને માફી પણ માગી હતી. તેમણે કહ્યું હતું કે આંકડા ખોટા છે.
આ ઉપરાંત, ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ (ICSSR)એ પણ CSDSને નોટિસ જારી કરી હતી. આ મહારાષ્ટ્ર ચૂંટણી ડેટાના સોશિયલ મીડિયા પોસ્ટ સાથે પણ સંબંધિત છે. ICSSRનો આરોપ છે કે CSDSએ ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પક્ષપાતી અર્થઘટન પર આધારિત મીડિયા સ્ટોરી પ્રકાશિત કરી હતી.
જૂની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મહારાષ્ટ્રના વિધાનસભા મતવિસ્તાર નંબર 59 રામટેકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં 4 લાખ 66 હજાર 203 મતદારો હતા. 2024ની વિધાનસભા ચૂંટણીમાં આ સંખ્યા ઘટીને 2 લાખ 86 હજાર 931 થઈ ગઈ હતી. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર મતદારોની સંખ્યામાં 1 લાખ 79 હજાર 272 એટલે કે 38.45%નો ઘટાડો થયો હતો.
તેવી જ રીતે, વિધાનસભા મતવિસ્તાર નંબર 126 દેવલાલીમાં, 2024ની લોકસભા ચૂંટણીમાં 4 લાખ 56 હજાર 72 મત હતા. વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા ઘટીને 2 લાખ 88 હજાર 141 થઈ ગઈ. આ રીતે, અહીં 1 લાખ 67 હજાર 931 (36.82%) મતો ઘટ્યા.
મંગળવારે, સંજય કુમારે આ દાવાઓ માટે માફી માગી અને X- પર લખ્યું.”હું મહારાષ્ટ્ર ચૂંટણી સંબંધિત ટ્વીટ્સ માટે દિલથી માફી માગુ છું. 2024ની લોકસભા અને વિધાનસભાના ડેટાની સરખામણી કરવામાં ભૂલ થઈ હતી. અમારી ટીમે ડેટા ખોટી રીતે વાંચ્યો. ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું છે. મારો ખોટી માહિતી ફેલાવવાનો કોઈ ઈરાદો નહોતો”.
આ મામલે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે, ‘આ એ જ સંગઠન છે જેના પર રાહુલ ગાંધી વિશ્વાસ કરે છે. મહારાષ્ટ્ર પર કોંગ્રેસના ખોટા નિવેદનને પ્રોત્સાહન આપવાની ઉત્સુકતામાં, CSDSએ ચકાસણી વિના ડેટા જાહેર કર્યો. આ સ્પષ્ટપણે વિશ્લેષણ નહીં પણ પક્ષપાત છે.’ ભાજપે તેને પ્રામાણિક ભૂલ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. માલવિયાએ X પર લખ્યું, “માફી માગી લીધી છે અને સંજય કુમાર બહાર છે. યોગેન્દ્ર યાદવના આ શિષ્યએ છેલ્લે ક્યારે કંઈક સાચું કર્યું હતું?”
રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ પર 1 કલાક અને 11 મિનિટ માટે 22 પાનાનું પ્રેઝન્ટેશન આપ્યું. રાહુલે સ્ક્રીન પર કર્ણાટકની મતદાર યાદી બતાવી અને કહ્યું કે મતદાર યાદીમાં શંકાસ્પદ મતદારો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના પરિણામો જોયા પછી, અમારી શંકા પુષ્ટિ થઈ કે ચૂંટણી ચોરી થઈ છે. મશીન રીડેબલ મતદાર યાદી પૂરી ન પાડીને, અમને ખાતરી થઈ કે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્ર ચૂંટણી ચોરી કરી છે. અમે અહીં મત ચોરીનું એક મોડેલ રજૂ કર્યું. મને લાગે છે કે આ મોડેલનો ઉપયોગ દેશની ઘણી લોકસભા અને વિધાનસભા બેઠકો પર થયો હતો.
ચૂંટણી પંચ (EC)એ રવિવારે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલ ગાંધીનું નામ લીધા વિના, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું- PPT પ્રેઝન્ટેશનમાં દર્શાવેલ ડેટા અમારો નથી. મત ચોરીના આરોપો પર સોગંદનામું આપો અથવા દેશની માફી માગો. જો 7 દિવસમાં સોગંદનામું નહીં મળે, તો આરોપો પાયાવિહોણા ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *