
મુંબઈ-અમદાવાદ હાઇવે પર આજે (25 ઓગસ્ટ) સતત ત્રીજા દિવસે ભયંકર ટ્રાફિકજામ થયો છે. મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. વાહનચાલકો 5-5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતાં પરેશાન થઈ ગયા છે. જાંબુવાબ્રિજથી લઈને પુનિયાદ ગામ સુધી ટ્રાફિકજામ થતાં વાહનોના થપ્પા લાગ્યા હતા. જાંબુઆબ્રિજ પર મસમોટા ખાડા પડી જતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે, જોકે આ ખાડાઓને પૂરવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. વાહનચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સરકાર ટોલટેક્સ વસૂલ કરે છે, પણ સારા રસ્તા આપતી નથી. તમે ક્યાંય પણ જાઓ, આ સરકાર તમને લૂંટી લેવાની છે.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર ગઈકાલે પણ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો અને આજે પણ બીજા દિવસે 15 કિલોમીટર ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. લોકો કલાકોથી ટ્રાફિકમાં ફસાયેલા હોવાથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નાનાં-નાનાં બાળકો ભૂખ્યાં-તરસ્યાં ટ્રાફિકમાં ફસાયેલાં છે. અગાઉ દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે જાંબુવાબ્રિજ પર નવો રોડ બનાવી દેવામાં આવ્યો હતો, જોકે ફરી વરસાદ શરૂ થતાં મુંબઈથી અમદાવાદ જતા સાંકડા બ્રિજ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે એક તરફ ટ્રાફિકજામ થયો છે. ઉપરાંત પોરબ્રિજ પર પણ ટ્રાફિકજામ છે.