
ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરરેશન પાર પાડ્યું છે. પોલીસ 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. માધુપુરા કેસમાં હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોચશે. આ સહિત અન્ય બુકીઓ પણ સકંજામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓ હવે એસએમસી ટૂંક સમયમાં સકંજો મજબૂત કરશે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે. તેઓ વિદેશમાં વસે છે અને પોતાનો ધંધો કાયદેસર હોવાની વાતો સ્પષ્ટ જણાવી રહ્યા છે.
આ કેસમાં જે બુકીઓના નામ ખુલ્યા હતા તે બુકીઓ અધિકારીઓ અને રાજકીય ઘરોબો ધરાવે છે. આમ બુકીઓના રાજકીય દબાણથી તપાસ ઓછી થઈ હોવાનું મનાય છે. મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ હર્ષિત જૈન દ્વારા ચલાવવામાં આવતું હતું. જો કે પીસીબીના દરોડા બાદ તે દુબઈ ફરાર થઇ ગયો હતો. બાદમાં તપાસ દરમિયાન આ કેસના તાર ભારતના સૌથી મોટા બુકી મહાદેવ બુકી એટલે તે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા હતા. સૌરભ ચંદ્રાકર મહાદેવ બુકીના નામે દુબઇથી ભારતનું સૌથી મોટું સટ્ટા બેટિંગ નેટવર્ક ચલાવે છે. સટ્ટાકાંડમાં દીપક ઠક્કર અને હર્ષિત જૈન સહિત અત્યારસુધીમાં કુલ 37 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. આ સટ્ટાકાંડનો ખુલાસો કરનાર પીસીબીના તત્કાલીન પોલીસ અધિકારી તરલ ભટ્ટ પણ તોડકાંડ કેસમાં સંડોવાયેલા છે.
ગુજરાતના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટામાં સૌથી મોટા 2200 કરોડથી વધુના વ્યવહારનો પર્દાફાશ અમદાવાદ પીસીબીએ 28 માર્ચ-2023માં કર્યો હતો. અમદાવાદ પીસીબીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે અને તે સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે. પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી તે સમયે અમદાવાદના માધુપુરામાં આવેલા સુમિલ કોમ્પલેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. પીસીબીએ રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.