
રાતના સમયે આવતી જતી લક્ઝરી બસ તેમજ એસટીની બસમાં પેસેન્જર તરીકે બેસીને પેસેન્જરોના સામાનમાંથી પૈસા, દાગીના, મોબાઇલ ફોન સહિતની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા એ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બંને પાસેથી 10 લાખના દાગીના અને રોકડા 4 લાખ મળીને 14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બંને આરોપીઓએ ત્રણ માસમાં સંખ્યાબંધ પેસેન્જરોના સામાનમાંથી દાગીના પૈસાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિશાલ દેવીપૂજક અને કરણદેવી પૂજક નામના બે આરોપીની ધરપકડ કરી હતી.બંનેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે નડિયાદના છે. તેઓ રાતના સમયે નડિયાદ, મહેસાણા, વડોદરા, સુરત તેમજ અમદાવાદથી ઉપડતી એસટી બસ તેમજ લક્ઝરી બસોમાં મુસાફર તરીકે બેસી જતા હતા. ત્યારબાદ મોડી રાત્રે પેસેન્જરો સૂઈ ગયા બાદ સામાનમાંથી પૈસા-દાગીના ચોરી લેતા હતા. આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ રીતે ચોરી કરવાથી પેસેન્જર સવારે ઉતરથી વખતે બે રીતે સામાન ચેક કરતા નથી જેના કારણે તેમને ઘરે ગયા પછી જ ચોરી થયાની જાણ થાય છે. જેથી તેઓ પોલીસ ફરિયાદ પણ કરતા નથી. જેનો લાભ લઈને આ બંને જણા લાંબા સમયથી આ જ રીતે ચોરી કરતા હતા.