
ગઈકાલે સોશિયલ મીડીયામાં બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારો વાયરલ થયા હતા, પણ આ સમાચાર ખોટા ઠર્યા હતા. 48 કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ધર્મેન્દ્રે આખરે મોતને માત આપી હતી. તેમના મોતના સમાચારને હેમામાલિની સહિત તેમના પરિવારે રદિયો આપ્યો હતો. આજે સવારે 7.30 વાગ્યે ધર્મેન્દ્રને રજા અપાઈ છે અને ઘરે આવી ગયા છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડોક્ટર્સએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે, તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર બુધવારે સવારે ડોક્ટર્સએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને પરિવારે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. 89 વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા અને રજા મળ્યા બાદ ફરી દાખલ થવું પડતું હતું. ડો. પ્રતીત સમદાનીએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, ‘ધર્મેન્દ્રજીને સવારે 7.30 વાગ્યા આસપાસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવાર દ્વારા તેમને ઘરે જ સારવાર આપવાનો નિર્ણય લેવાયો હોવાથી તેમની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે.’ અભિનેતાને વેન્ટિલેટર સપોર્ટ સાથે ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. અહેવાલો સૂચવે છે કે, ધર્મેન્દ્રએ સોમવારે શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને બેચેનીની ફરિયાદ કરી હતી. અભિનેતા શોલે, ધરમ વીર, ચુપકે ચુપકે, મેરા ગાઁવ મેરા દેશ અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ધર્મેન્દ્ર છેલ્લે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા (2024) ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સેનન સાથે જોવા મળ્યા હતા. તેઓ ટૂંક સમયમાં શ્રીરામ રાઘવનની ફિલ્મ ઇક્કિસમાં અગસ્ત્ય નંદા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વોર ડ્રામા (યુદ્ધ આધારિત ફિલ્મ) અણ ખેતરપાલના જીવન પર આધારિત છે.