
અમદાવાદ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને કરણી સેનાના 19 કાર્યકર્તાઓ વિરુદ્ધનો ગુનાહિત કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જેઓ વર્ષ 2018માં બોલિવૂડ ફિલ્મ ‘પદ્માવત’ના રિલીઝ વિરુધ્ધના વિરોધ દરમિયાન મોલમાં તોડફોડ કરવા, વાહનોને આગ લગાવવા અને મિલકતને નુકસાન પહોંચાડવા માટે બુક કરાયા હતા. કોર્ટે કહ્યું હતું કે, અપરાધ વ્યક્તિગત હિત હાંસલ કરવા અને ચોક્કસ સમુદાયની વર્ચસ્વ જાળવવા માટે કરવામાં આવ્યો હતો.
કરણી સેનાના કાર્યકર્તાઓએ 23 જાન્યુઆરી, 2018ના રોજ ‘પદ્માવત’ ફિલ્મ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આ કાર્યક્રમ હિંસક બન્યો અને 19 વ્યક્તિઓ વિરુદ્ધ રમખાણ, ગેરકાયદેસર સભા, આગજની અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ IPCની કલમો, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા વિશેની કલમો, ગુજરાત પોલીસ કાયદાની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ પછી વસ્ત્રાપુર પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને કેસ 2019થી અમદાવાદ (ગ્રામ્ય) સેશન્સ કોર્ટમાં કમિટલ માટે બાકી છે.
રાજ્ય સરકારે પ્રથમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કેસ પાછો ખેંચવાની મંજૂરી માટે વિનંતી કરી હતી. પરંતુ વર્ષ 2022માં તે નકારાઈ ગઈ. તેમણે અમદાવાદ (ગ્રામ્ય) સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે કેસ પાછો ખેંચવાનો નિર્ણય માત્ર જનતાના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આરોપીઓ યુવાન છે જેઓએ તત્કાલીન ભાવુકતા અને ઉત્તેજનામાં આ કાર્ય કર્યું હતું. તેમાંથી કોઈ પણ ગુનેગાર પ્રકૃતિનો નથી.
સેશન્સ કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ રાજ્ય સરકારના આદેશને કારણે જ કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. પબ્લિક પ્રોસિક્યુટરે આ મુદ્દા પર તેનો મત વ્યક્ત કર્યો નથી. કોર્ટે વધુ નોંધ્યું હતું કે, આરોપીઓએ રમખાણ દરમિયાન 16.40 લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, આ પણ નોંધાયેલું છે કે અપરાધ જનહિતને અવગણીને વ્યક્તિગત હિત હાંસલ કરવા અને ચોક્કસ સમુદાયની વર્ચસ્વ જાળવવા માટે કરવામાં આવ્યો હતો. જો આવા પ્રકારના વ્યક્તિ વિરુદ્ધ સરકારની અરજીના આધારે કેસ પાછો ખેંચવાની મંજૂરી આપવામાં આવશે, તો તે નિશ્ચિતપણે જનહિત વિરુદ્ધ તેમજ સર્વોચ્ચ ન્યાયાલયના માર્ગદર્શન વિરુદ્ધ હશે.