જામનગર
ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપાયીના જન્મ દિવસ-૨૫ ડિસેમ્બરને કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ -Good Governance Day તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તા.૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી યોજાઇ રહેલા ‘‘સુશાસન સપ્તાહ’’ નિમિત્તે આવતીકાલ તા. ૨૮ ડિસેમ્બરે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં કૃષિ મંત્રીશ્રી રાધવજી પટેલના અધ્યક્ષ સ્થાને ઓસ્વાલ સેન્ટર, જામનગર ખાતે કાર્યક્રમ યોજાશે.
સવારે ૦૯-૩૦ કલાકે જિલ્લા મથકોએ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં ખેડૂતલક્ષી પ્રાકૃતિક ખેતી અંગેનું નિદર્શન, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ તથા પશુઆરોગ્ય મેળાનું આયોજન, વિવિધ કૃષિલક્ષી યોજનાઓના મંજૂરી હુકમ વિતરણ તેમજ તમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે છત્રીઓનું મંત્રીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે. ખેડૂતો માટે જિલ્લા મથકોએ કૃષિ સંબંધિત માહિતી સભર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહભાગી થવા કૃષિ વિભાગ દ્વારા ખેડૂત-મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં યોજાનારા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં જિલ્લાકક્ષાએ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, બોર્ડ કોર્પોરેશનના અધ્યક્ષશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રીઓ, અન્ય પદાધિકારીઓ, ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહેશે.