શહેરના ઘ-૪ અન્ડરપાસની ખામીયુક્ત જાળી બદલવાનો ર્નિણય આખરે મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા લેવામાં આવ્યો છે. અન્ડરપાસ ખુલ્લો મૂકાયો ત્યારથી જ જાળી વારંવાર તૂટવાની ફરિયાદો આવતી હતી, વાહનચાલકોને પણ મુશ્કેલી પડતી હતી. આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાળી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ૨૬ જૂનથી ૨ જુલાઇ સુધી ઘ-૩થી ઘ-૫ તરફનો એકતરફી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાનું જાહેર કર્યું છે. આ સમય દરમિયાન અન્ડરબ્રિજની જાળી બદલીને નવી ડિઝાઇનની જાળી નાખવામાં આવશે.
ગ-૪ના અન્ડરપાસમાં જાળીની સમસ્યા નથી. આ જાળી ઘ-૪ના પ્રમાણમાં નાની હોવાથી અને તેમાં કોઇ મુશ્કેલી આવી નહીં હોવાનું અધિકારીઓને જણાયું છે. તેમાં પાણી પણ આસાનીથી નીચેની ડ્રેનેજમાં જતું રહે છે. આથી ઘ-૪ની જાળી પણ ગ-૪ના અન્ડરબ્રિજ જેવી ડિઝાઇનની બનાવીને નાખવામાં આવશે.આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન કેચમેન્ટની સફાઇ અને પ્રિમોનસૂન કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી આ માર્ગ બંધ રાખવામાં આવશે. હાલ એકતરફની જાળી બદલવાની કામગીરી કરાશે ત્યારબાદ બીજી તરફની સાઇડમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે.
એક અઠવાડીયા સુધી આ કામગીરી ચાલું રહેશે.ઉલ્લેખનીય છે કે જાળીની ખામીયુક્ત ડિઝાઇન અંગે વારંવાર ફરિયાદો થઇ હતી અને ખુદ પદાધિકારીઓ પણ રાઉન્ડ લઇ ચૂક્યા હતા અને તેને સુધારવા સૂચના આપી હતી. અત્યારસુધીમાં એક ડઝન વખત જાળી રીપેર કરવી પડી છે પરંતુ હવે તેને બદલીને નવી ડિઝાઇનની જાળી નાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે જે કામગીરી ૨૬મી જૂનથી હાથ ધરવામાં આવશે.