મુખ્યમંત્રીશ્રીએ વનબંધુઓના કારણે જ રાજ્યમાં વનો, વનસંપદા અને વન્ય પ્રાણી સૃષ્ટિ સુરક્ષિત રહ્યા છે તેમ આ સનદી વિતરણ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું
સદીઓથી જંગલ જમીન ખેડતા અને વનોનું જતન સંવર્ધન કરતા વનબંધુઓને જમીન હક્ક આપી જમીન માલિક બનાવવાના રાજ્ય સરકારના અભિગમ રૂપે આ સનદ વિતરણ કોરોના સંક્રમણને કારણે ડિઝીટલી તથા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે યોજવામાં આવ્યો હતો.
અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે. આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવાઓ અન્વયે ૧૧ લાખ ૬૦ હજાર થી વધુ એકર જમીન મંજુર કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ થી સૌ વનબંધુ લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે પેસા એકટનો સુચારૂ અમલ કરીને વનવાસીઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજના વેચાણ હક્કો-માલિકી હક્કો આપીને સ્થાનિક વિકાસ માટેના નવા દ્વાર ખોલ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વનવાસી ક્ષેત્રોમાં શાળા, કોલેજ, રસ્તા, પાણી, વીજળીના પાયારૂપ વિકાસ કામો માટે ૧ લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજનામાં ફાળવવામાં આવેલા છે તેમ પણ જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા કપરાડાથી આ વિડીયો-ડિઝીટલ સનદ અધિકારપત્ર વિતરણ કાર્યક્રમ માં જોડાયા હતા અને સ્થળ પર પ્રતિકરૂપે તેમણે સનદ અધિકારપત્રોનું વિતરણ કર્યુ હતું