ગાંધીનગર તાલુકામાં આવેલા ઈસનપુર મગોડી ગામનો દસ્તાવેજ થઈ જતાં ચકચાર મચી છે. છેલ્લા 47 વર્ષથી આ ગામમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટેની નોટિસો પણ અપાઈ છે ત્યારે આ મામલે કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ઈસનપુર મગોડી ગામની મુલાકાત લઈ સરકારની આકરી ટીકા કરી હતી.

ગાંધીનગર તાલુકાના આખા ગામનો દસ્તાવેજ થયો
હોવાની જાણ થતાં કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત
લીધી હતી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,
વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય
બળદેવજી ચાવડા સહિતના કોંગી અગ્રણીઓ ગામમાં ગયા
હતા. અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે, આજે સમગ્ર
ગુજરાતમાં ભૂમાફિયા બેફામ થયા છે. આખા ને આખા
ગામોના દસ્તાવેજ થઈ રહ્યા છે, જબરજસ્તી કબજા લેવાઈ
રહ્યા છે. એના માટે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ થઈ રહ્યો
છે, કારણ કે તેમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પૈસા છેક
નીચેથી ઉપર સુધી પહોંચે છે.
દહેગામ, મુલાસણા, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ ચાલે છે. ઈસનપુર મગોડી ગામમાં 47 વર્ષથી પરિવારો વસવાટ કરે છે. તેમની પાસે લાઈટ કનેક્શન, રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર સહિતના પુરાવા છે. તેમ છતાં રાતોરાત ખોટી રીતે દસ્તાવેજો થાય છે. 7/12માં જેમના નામ છે. તે તમામ લોકો હાજર ન હોવા છતાં દસ્તાવેજ થાય છે. 47 વર્ષથી વસવાટ કરતાલોકોને તાત્કાલિક મકાન ખાલી કરવા નોટિસ અપાય છે. મકાન ખાલી ન કરે તો બુલડોઝર ફેરવવાની ચીમકી અપાય છે. ગુજરાતમાં ભૂમાફિયાઓના લાભાર્થે બુલડોઝર રાજ લાવવામાં આવી રહ્યું છે. એની સામે લોકો હવે રસ્તા પર ઉતરવા તૈયાર છે.
ઈસનપુર મગોડી ગામના રહીશોના જણાવ્યા મુજબ, ગામની જમીન અગાઉ રતીલાલ મફતલાલ શાહના નામે હતી. 47 વર્ષ પહેલા નથાજી જુગાજી, શંકાજી નામના બે ઠાકોરભાઈઓને 81 રૂ.ના સ્ટેમ્પ પર આ જમીન વેચાતી લીધી હતી. 47 વર્ષથી અહીં લોકો વસવાટ કરે છે. ગામમાં 40 જેટલા મકાન અને 200 લોકો રહે છે. 7/12ના ઉતારામાં પણ મકાનોની એન્ટ્રી થયેલી છે. ગામમાં સરકારની વિવિધ યોજનાઓ થકી રોડ-રસ્તા, લાઈટ પાણીની સુવિધા છે. ગ્રામજનો પાસે વેરા પહોંચો છે. ગામની જમીન વેચાયાની જાણ થયા બાદ પંચાયતે સ્થળ સ્થિતિનું પંચનામું કરેલું છે જેમાં મકાનો સ્પષ્ટ દેખાય છે.
આ મામલે રાજ્ય સરકાર પગલાં લે તેવી આશા છે. ભાવના ઉછાળાના લીધે ભૂમાફિયાઓએ આ જમીન બારોબાર પડાવવાનો પ્રયાસ કર્યો છે. રતીલાલના નાના ભાઈ સાંકળચંદ મફતલાલ શાહના વારસદારોએ આ જગ્યા બારોબાર વેચી મારી છે. રાણીપના રહેવાસી સંજયભાઈ રમેશભાઈ પટેલે આ જમીન ખરીદી છે.