દશેરાના પર્વે મહેસાણાના કડીમાં કરૂણાંતિકા સર્જાઇ છે. કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 9 મજૂરોના દટાઈ જવાથી મોત નિપજ્યા છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ સર્જાઇ હતી.
હાલ ઘટનાસ્થળે JCBની મદદથી દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઘટનાસ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. આખરે રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થઇ છે અને ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા છે જ્યારે એક શ્રમિકનો આબાદ બચાવ થયો છે. આમા એક જ કુટુંબના ચાર સભ્યોના મોત થયા છે. આ ઉપરાંત નણંદ અને નણદોઈના પણ મોત થયા છે.
આ દુર્ઘટનાની પીએમ મોદીએ પણ નોંધ લીધી છે અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શ્રમિકોના મોતને લઈને ટવીટ વ્યક્ત કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે દશેરા જેવા તહેવાર નિમિત્તે મજૂરો પર આવી પડેલી આ વિપત્તિના સંજોગોમાં સમગ્ર રાજ્ય અને કેન્દ્ર તેમની પડખે હોવાનું જણાવ્યું છે. તેમના માટે શક્ય તેટલા બધા જ સંસાધન પૂરા પાડવામાં આવશે. તેમના કુટુંબ માટે બધુ જ કરૂ છૂટવામાં આવશે તેમ જણાવ્યું છે. કેન્દ્રએ મૃતકો માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તને પ0 હજાર રૂપિયા આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના જાસલપુરમાં દિવાલ ધસી પડવાના કારણે સર્જાયેલી દુઘર્ટનામાં મૃત્યુ પામેલા શ્રમિક વ્યક્તિઓને પ્રત્યેકને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોના પરિવારજનોના દુઃખમાં સહભાગી બનીને મુખ્યમંત્રી શ્રીએ મૃત્યુ પામનારા કમનસીબ લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટના ના ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવા ની પણ જાહેરાત કરી છે.
પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કડી તાલુકાના જેસલપુર ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં ગોઝારી ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. સ્ટીલ આઇનોક્સ સ્ટેનલેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ત્યાં ચાલતી કામગીરીમાં આ બનાવ બન્યો છે.
કામદારો કંપનીની દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડવાથી દસેક કામદારો દટાયા હતા. ગોઝારી ઘટના બની ત્યારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
દટાયેલા મજૂરોને જેસીબી વડે માટી હટાવી બહાર કાઢીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ ઘટનામાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ જ્યારે બાકીનાને હોસ્પિટલ દાખલ કર્યા છે તેમનું તે બાદમાં નિવેદન લેશે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં કોની બેદરકારી છે તેની ચકાસણી કરવામાં આવશે અને પછી કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.