ભારત અમેરિકાથી આવતી કેટલીક વસ્તુઓ પર ટેરિફ ઘટાડી શકે છે, 30 વસ્તુઓ પર ટેક્સ ઘટાડાને આપી શકે લીલીઝંડી

Spread the love

USA immigration and work visas | Workpermit.com

અમેરિકા,

ભારતે અમેરિકાને ખુશ કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. એક અહેવાલ મુજબ, ભારત અમેરિકાથી આવતી કેટલીક વસ્તુઓ પર ટેરિફ ઘટાડી શકે છે. આ એટલા માટે છે કે અમેરિકા બદલામાં ભારતમાંથી આવતા માલ પર ઊંચા ટેક્સ ન લાદે. આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લગાવવાની વાત કરી ચૂક્યા છે.

નોમુરાના એક અહેવાલ મુજબ, અમેરિકા તરફથી વધેલા બદલો લેવાના ટેરિફથી બચવા માટે ભારત 30થી વધુ વસ્તુઓ પર ટેરિફ ઘટાડી શકે છે. ભારત અમેરિકન સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદનોની ખરીદી વધારવાનું પણ વિચારી રહ્યું છે. અર્થ સ્પષ્ટ છે, ભારત અમેરિકા સાથે વેપાર વિવાદ ઇચ્છતું નથી. એટલા માટે ભારત અમેરિકન વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાનું વિચારી રહ્યું છે.

રિપોર્ટમાં શું લખ્યું છે?.. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અમેરિકા સાથેના વેપાર વિવાદોને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરના કેન્દ્રીય બજેટમાં, સરકારે ઇલેક્ટ્રોનિક્સ, કાપડ અને મોંઘી મોટરસાઇકલ જેવા અનેક ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડી છે. એનો અર્થ એ થયો કે ભારતે અમેરિકા સાથેના સંબંધો સારા રહે તે માટે ઘણી વસ્તુઓ પર કર ઘટાડી દીધો છે.

આ વસ્તુઓ પર ઘટાડી શકાય છે ટેરિફ.. આ ઉપરાંત, ભારતે અમેરિકા સાથે રાજદ્વારી સંબંધો મજબૂત કરવા માટે પગલાં લીધાં છે. જેમ કે 100થી વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને પરત મોકલવા માટે સંમત થયા. હવે ભારત સારા વેપાર સંબંધો જાળવવા તેની વ્યૂહરચનાના ભાગરૂપે લકઝરી વાહનો, સોલાર સેલ અને રસાયણો પર વધુ ટેરિફ ઘટાડવા વિચારી રહ્યું છે. મતલબ કે ભારત અમેરિકાને ખુશ રાખવા માટે વધુ છૂટ આપવા માટે તૈયાર છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારત અમેરિકન માલ પરના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો નહીં કરે, તો અમેરિકા ભારતીય નિકાસ પર સમાન ટેરિફ લાદી શકે છે. વિચારો, જો ભારત અમેરિકન કાર પર 25 ટકા ટેક્સ લાદે છે તો અમેરિકા પણ ભારતીય કાર પર આટલો જ ટેક્સ લાદી શકે છે. આવી સ્થિતિમાં, બંને દેશોના વેપારને નુકસાન થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે બુધવારે અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે. મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. તે ફ્રાન્સથી સીધા અમેરિકા જવા રવાના થશે. મોદી શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે. આ સમય દરમિયાન, ટેરિફ અને વેપાર પર ચર્ચા થવાની અપેક્ષા છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે બંને નેતાઓ શું નિર્ણય લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *