માધવપુર
માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાનારો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બની રહેશે. વર્ષ 2025નો માધવપુર ઘેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાની મુખ્ય વિશેષતા એ છે કે ગુજરાત અને ઉત્તર-પૂર્વના રાજ્યોના 1600 કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ 6 એપ્રિલ 2025ના રોજ સાંજે થશે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી છે.