
યુદ્ધના શરૂઆતના દિવસો પછી પહેલી વાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂકયો છે. અગાઉ, પુતિને ઇસ્ટરના અવસર પર એક દિવસના એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. હવે તેણે બીજી વખત યુદ્ધ બંધ કરવાની ઓફર કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ ઓફરનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. ઝેલેન્સકીએ રાત્રે રેકોર્ડ કરાયેલા એક વિડીયો સંદેશમાં ભાર મૂકયો હતો કે યુક્રેન યુદ્ધવિરામ અંગે કોઈપણ વાટાઘાટો માટે તૈયાર છે જે નાગરિકો પરના હુમલા રોકવા તરફ એક સકારાત્મક પગલું હશે. પુતિન અને ઝેલેન્સકી બંને પર વાટાઘાટોના ટેબલ પર આવવા માટે અમેરિકાનું દબાણ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો બંને દેશો શાંતિના પગલાં પર આગળ નહીં વધે તો અમેરિકા આ પ્રયાસમાંથી ખસી જશે. ગયા સપ્તાહના અંતે મોસ્કો દ્વારા જાહેર કરાયેલા 30 કલાકના ઇસ્ટર યુદ્ધવિરામ બાદ રશિયા અને યુક્રેને કહ્યું છે કે તેઓ વધુ યુદ્ધવિરામ માટે તૈયાર છે. જોકે, બંને પક્ષોએ એકબીજા પર તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન બુધવારે લંડનમાં અમેરિકા અને યુરોપિયન દેશો સાથેની વાટાઘાટોમાં ભાગ લેશે. આ ચર્ચા ગયા અઠવાડિયે પેરિસમાં યોજાયેલી બેઠકને અનુસરે છે, જેમાં યુએસ અને યુરોપિયન દેશોએ ત્રણ વર્ષથી વધુ જૂના યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
રશિયન સરકારી ટીવી રિપોર્ટર સાથે વાત કરતા, પુતિને કહ્યું કે ઇસ્ટર યુદ્ધવિરામ પછી લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે, જેની તેમણે શનિવારે એકપક્ષીય જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મોસ્કો કોઈપણ શાંતિ પહેલ માટે ખુલ્લું છે અને કિવ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. અમે હંમેશા એ હકીકત વિશે વાત કરી છે કે કોઈપણ શાંતિ પહેલ પ્રત્યે અમારુ વલણ સકારાત્મક છે. અમને આશા છે કે કિવ શાસનના પ્રતિનિધિઓ પણ આવું જ અનુભવશે, પુતિને રાજ્ય ટીવી રિપોર્ટર પાવેલ ઝરુબિનને જણાવ્યું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યુ જ્યારે રાષ્ટ્રપતિએ કહ્યું કે નાગરિક લક્ષ્યો પર હુમલો ન કરવાના મુદ્દા પર ચર્ચા શકય છે, ત્યારે રાષ્ટ્રપતિના મનમાં યુક્રેનિયન પક્ષ સાથે વાટાઘાટો અને ચર્ચાઓ હતી. રશિયાના ફેબ્રુઆરી ૨૦૨૨ ના આક્રમણ પછીના શરૂઆતના અઠવાડિયાથી બંને પક્ષો વચ્ચે કોઈ સીધી વાતચીત થઈ નથી. ઝેલેન્સકીએ તેમના રાત્રિના વિડીયો સંબોધનમાં કહ્યું કે યુક્રેન નાગરિક લક્ષ્યો પર હુમલા રોકવાના તેના પ્રસ્તાવ પર અડગ છે અને આ હાંસલ કરવા માટે કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર છે. અગાઉ, અમેરિકા અને યુક્રેને તેને 30 દિવસના યુદ્ધવિરામ તરીકે તૈયાર કર્યું હતું.
ઝેલેન્સકીએ કહ્યું, યુક્રેન ઓછામાં ઓછું નાગરિક લક્ષ્યો પર હુમલો ન કરવાના તેના પ્રસ્તાવ પર અડગ છે. અને અમે મોસ્કો તરફથી સ્પષ્ટ પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ, અમે આ કેવી રીતે પ્રાપ્ત કરવું તે અંગે કોઈપણ વાટાઘાટો માટે તૈયાર છીએ. ઝેલેન્સકીએ સોમવારે અગાઉ કહ્યું હતું કે બિનશરતી યુદ્ધવિરામ તે વાસ્તવિક અને કાયમી શાંતિની સ્થાપના તરફ દોરી જશે. યુક્રેનની કાર્યવાહી ટાઈટ ફોર ટેટ ધોરણે થશે. યુદ્ધવિરામનો જવાબ યુદ્ધવિરામથી આપવામાં આવશે, અને રશિયન હુમલાઓનો જવાબ આપણા બચાવથી આપવામાં આવશે. તમારી ક્રિયાઓ હંમેશા શબ્દો કરતાં વધુ બોલે છે. ઝેલેન્સકીએ X પર પોસ્ટ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ સચિવ માર્કો રુબિયો બંનેએ શુક્રવારે કહ્યું હતું કે જો બંને પક્ષો વચ્ચે કોઈ પ્રગતિ નહીં થાય તો વોશિંગ્ટન શાંતિ વાટાઘાટો છોડી શકે છે. રવિવારે ટ્રમ્પ વધુ આશાવાદી દેખાતા હતા, તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે બંને પક્ષો આ અઠવાડિયે કોઈ કરાર પર પહોંચશે. રશિયાની માંગણીઓમાં યુક્રેન પુતિન દ્વારા દાવો કરાયેલી બધી જમીન સોપે અને કાયમી તટસ્થતા સ્વીકારે તે શામેલ છે.
લાંબા સમયથી ચાલતું યુદ્ધ રશિયા પર દબાણ લાવી રહ્યું છે. રશિયાથી આવી રહેલા અહેવાલો સૂચવે છે. કે દેશ આર્થિક દબાણનો સામનો કરી રહ્યો છે. રશિયન સૈનિકો અનુશાસનહીન બની ગયા છે અને ભાગી રહ્યા છે. યુવાનોમાં નવા સૈનિકોની ભરતી કરવામાં અનિચ્છા અને વધતી જતી જાનહાનિને કારણે ઘરેલું અસંતોષ વધી રહ્યો છે. યુદ્ધમાં થયેલા નુકસાન, ૫^મી પ્રતિબંધો અને 300 બિલિયન રશિયન સંપત્તિ જપ્ત કરવાથી પુતિન માટે આંતરિક અને બાહ્ય પડકારો ઉભા થયા છે. પુતિનની વાતચીત પ્રત્યેની ખુલ્લી ભાવના દર્શાવે છે કે તેઓ યુદ્ધની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગે છે. જોકે, પુતિનનો યુદ્ધવિરામ પ્રસ્તાવ આંશિક રીતે ગંભીર લાગે છે, પરંતુ મોટાભાગે શરતી છે. આર્થિક અને લશ્કરી તણાવને કારણે વધતો સંઘર્ષ કદાચ અસ્વસ્થતાનું કારણ બની રહ્યો છે, પરંતુ પુતિનના કાર્યો દર્શાવે છે કે તેઓ વ્યૂહાત્મક લાભ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પુતિનની યુદ્ધવિરામ અને વાટાઘાટોની તૈયારી રાજદ્વારી દબાણ અને રશિયાની આંતરિક પરિસ્થિતિ (આર્થિક, લશ્કરી અને સામાજિક) નું પરિણામ હોઈ શકે છે. પરંતુ શું આ સંપૂર્ણ પીછેહઠની ઇચ્છા છે કે રશિયાના હિતોનું રક્ષણ કરતી વખતે યુદ્ધને નિયંત્રિત કરવાની વ્યૂહરચના છે, તે બાબત પર નિષ્ણાતો નજર રાખી રહ્યા છે.