
સોમવાર-મંગળવારની મોડી રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સોમવારે રાત્રે 12:11 વાગ્યે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. સમાચાર એજન્સી રોઇટર્સે પણ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ)ને ટાંકીને જણાવ્યું હતું કે આંદામાન-નિકોબાર ટાપુઓ આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. જ્યારે ધરતીકંપનું કેન્દ્રબિંદુ 10 કિમી ઊંડાઈએ રહ્યું હોવાનું પણ GFZએ નોંધ્યું છે. જો કે હાલ આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલો મળ્યા નથી.
ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન તૈયારીઓની સમીક્ષા કરવા માટે, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં 29 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન મોટા પાયે આપત્તિ વ્યવસ્થાપન તૈયારી કવાયત યોજવાનું નક્કી કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ અને ઔદ્યોગિક રાસાયણિક જોખમો જેવી મોટી આપત્તિઓ માટે સંકલન અને પ્રતિભાવ પદ્ધતિઓને મજબૂત બનાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવશે. આ કવાયત પૂર્વે જ આંદામાન-નિકોબાર ટાપુઓમાં 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કામે લાગી ગયું છે. આ કવાયત રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), ભારતીય સેના અને દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવશે.