ઓપરેશન સિંદૂર પરની ચર્ચાથી થરૂર અને ચંદીગઢ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને દૂર રખાયા

Spread the love

 

ચંદીગઢ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પાર્ટી વતી બોલવા ન દેવા બદલ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તિવારીએ સોમવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં એક સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં થરૂર અને તેમને શા માટે બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી તે સમજાવવામાં આવ્યું હતું. તિવારીએ ફિલ્મ પૂર્વા ઔર પશ્ચિમના દેશભક્તિ ગીત સાથે તેનું કેપ્શન પણ આપ્યું હતું: “ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનતા હું. જય હિન્દ!” આ પહેલાં કોંગ્રેસ નેતા શશી થરૂરે સોમવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેવાના પ્રશ્નને ટાળ્યો હતો. તેમણે મીડિયાને કહ્યું, ‘મૌનવ્રત…મૌનવ્રત.’ હકીકતમાં, અગાઉ એવા સમાચાર હતા કે તેઓ સંસદની ચર્ચામાં ભાગ લઈ શકે છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને શશિ થરૂર ઓપરેશન સિંદૂર પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિદેશ પ્રવાસે ગયા હતા. થરૂરે વિશ્વના વિવિધ દેશોમાં મોકલવામાં આવેલા સાત પ્રતિનિધિમંડળોમાંથી એકનું નેતૃત્વ કર્યું હતું. તિવારી NCP સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળનો ભાગ હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, કોંગ્રેસના એક સાંસદે કહ્યું કે પાર્ટીએ જાણી જોઈને નવા સાંસદોને તક આપી કારણ કે થરૂર અને તિવારી જેવા નેતાઓએ વિદેશમાં સરકારના સમર્થનમાં વાત કરી છે. પાર્ટી હવે ઇચ્છે છે કે સંસદમાં સરકારની ટીકા થાય અને વિપક્ષનો અવાજ સામે આવે. તેથી, એવા નેતાઓની પસંદગી કરવામાં આવી જે સંપૂર્ણપણે પાર્ટી લાઇન પર હોય. શશિ થરૂર અને મનીષ તિવારી જેવા નેતાઓ ઘણીવાર પોતાના અલગ અલગ મંતવ્યો વ્યક્ત કરે છે.
તાજેતરમાં, જ્યારે તેઓ વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ઓપરેશન સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દાઓ પર સરકારની પ્રશંસા કરી હતી. કોંગ્રેસને ડર હતો કે આ નેતાઓ સંસદમાં સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કરી શકે છે, જે કોંગ્રેસની રણનીતિને નબળી બનાવી શકે છે. આ કારણોસર, કોંગ્રેસે તેમને ચર્ચાથી દૂર રાખ્યા અને તેમના સ્થાને એવા નેતાઓને પસંદ કર્યા જે સંપૂર્ણપણે પાર્ટીના સૂરમાં બોલશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું, ‘શુક્રવારે (16 મે) સવારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમણે વિદેશ મોકલવા માટે 4 સાંસદોના નામ માંગ્યા હતા. કોંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નસીર હુસૈન અને રાજા બ્રારના નામ આપ્યા હતા.’ ભારત પાછા ફર્યા પછી પણ થરૂર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો સામાન્ય થયા ન હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ થરૂરનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક લોકો માટે મોદી પહેલા આવે છે અને દેશ પછી. ખડગેનું નિવેદન થરૂરના સરકાર પ્રત્યેના વલણ અંગે હતું. બીજી તરફ, શશિ થરૂરે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવા બદલ કેન્દ્રનો આભાર માન્યો હતો. તેમણે X પર લખ્યું હતું કે, ‘તાજેતરની ઘટનાઓ પર આપણા દેશનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે પાંચ મુખ્ય દેશોની રાજધાનીઓમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે ભારત સરકારના આમંત્રણથી હું સન્માનિત છું. જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે અને મારી સેવાઓની જરૂર હોય છે, ત્યારે હું પાછળ રહીશ નહીં.’ આ પહેલા શશિ થરૂરે 8 મેના રોજ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન અને વિશ્વ માટે એક મજબૂત સંદેશ છે. ભારતે 26 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા માટે ચોક્કસ કાર્યવાહી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *