ગાંધીનગરમાં પાંચ દાયકા જૂના અને જર્જરિત બની ગયેલા સરકારી આવાસોને તોડી પાડવાની કામગીરીનો વધુ એક રાઉન્ડ લેવાશે

Spread the love

 

ગાંધીનગરમાં પાંચ દાયકા જૂના અને જર્જરિત બની ગયેલા સરકારી આવાસોને તોડી પાડવાની કામગીરીનો વધુ એક રાઉન્ડ આગામી સમયમાં શરૂ થશે. આ વખતે સેક્ટર-21 અને 22માં જોખમી જાહેર કરવામાં આવેલા કુલ 37 બ્લોક ઉતારી પાડવામાં આવનાર છે. આ આવાસો રહેવાલાયક ન હોવાથી અને ખંડેર હાલતમાં ફેરવાઈ જતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી માટેની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે અને હાલ ટેન્ડર ફાઇનાન્સ વિભાગમાં મંજૂરી માટે છે. ફાઈનલ મંજૂરી મળતાંની સાથે જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
શહેરના સક્ટર-21 અને 22માં જર્જરીત થયા બાદ જોખમી જાહેર કરીને વસવાટ ખાલી કરાવવામાં આવેલા આવાસ જમીનદોસ્ત કરી સરકારી જગ્યા ખુલ્લી કરવા માટેની કવાયત પાટનગર યોજના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સેક્ટર- 21ના 17 બ્લોક સહીત 168 યુનિટ, સેક્ટર- 22ના 20 બ્લોક તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આમાં મુખ્યત્વે ચ, જ-1 અને છ કક્ષાના આવાસોનો સમાવેશ થાય છે. આ મકાનો હવે ખૂબ જ જૂના અને જોખમી બની ગયા છે, જેથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના થવાનો ભય રહે છે.
આ ખંડેર બની ગયેલા મકાનોમાં ઘણીવાર ઘૂસણખોરીના બનાવો પણ બનતા હોય છે, જેના કારણે બારી-બારણા અને લોખંડની ગ્રીલ સહિતના માલસામાનની ચોરી થતી રહે છે. આ પરિસ્થિતિને જોતાં, આ આવાસોને ઝડપથી તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આવાસો તોડી પાડવામાં આવ્યા બાદ ખુલ્લી થનારી જગ્યામાં ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે તંત્ર દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેન્ડરને મંજૂરી મળ્યા બાદ આ બંને સેક્ટરોમાં આવાસ તોડાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *