
ગાંધીનગરમાં કચરાના મોટા ડુંગર જોવા નહીં મળે. મહાનગરપાલિકા દ્વારા બાયોમાઇનીંગ પ્રક્રિયાથી ડમ્પીંગ સાઇટ પર એકત્રિત થયેલા 5 લાખ મેટ્રીક ટન ઘન કચરાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. માર્ચ 2024થી આ પ્રક્રિયા ચાલી રહી હતી. ઘન કચરાના નિકાલ માટે 15 આઇવા, 7 એસ્કેવેટર મશીન, 6 જેસીબી જેવા સાધનો કામે લગાડવામાં આવ્યા હતા. હવે કચરા મૂક્ત થયેલી આ જગ્યા પર એક લાખ વૃક્ષો રોપવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આ કામગીરીના પરિણામે 5 હેક્ટર જેટલી વિશાળ જમીન પ્રાપ્ત થઈ શકી છે. બાયોમાઇનિંગ પ્રકિયાથી કચરામાંથી પ્રાપ્ત થતું રિફ્યુઝ્ડ ડિરાઇવ્ડ ફ્યુલ (RDF) સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કો-પ્રોસેસિંગ બળતણ તરીકે ઘણું ઉપયોગી થઈ રહ્યું છે. જ્યારે બાયોમાઇનીંગ પ્રક્રિયાથી ઉત્પન્ન થતાં ખાતરનો ફર્ટીલાઇઝર કંટ્રોલ ઓર્ડર પ્રમાણેની ગુણવત્તા મેળવી મહાપાલિકાના બગીચાઓમાં ઉપયોગ કરવામાં આવશે. તેમજ ખાતરનું વેચાણ પણ કરવામાં આવશે.
કચરાના નિકાલ બાદ પાંચ હેક્ટર જેટલી જમીનની સફાઈ થયા બાદ તેમજ ફળદ્રુપ માટી તથા ખાતરના ઉપયોગથી વૃક્ષારોપણ થઈ શકે તે રીતે તૈયાર કરાઇ છે. ઢોળાવ પર પ્લેટફોર્મ બનાવી વૃક્ષો ઉછેરાશે હાલ આ જમીન ઉપર બીજના જર્મિનેશનનો એક પ્રયોગ પણ કરાયો હતો. આ તપાસ બાદ, ફેન્સીંગ અને પિયતની વ્યવસ્થાથી સુરક્ષિત કરવામાં આવશે તથા અહીં ઢોળાવો પર ટેરેસ (પ્લેટફોર્મ) તૈયાર કરી મિયાવાકી વનીકરણ પદ્ધતિ દ્વારા સ્થાનિક પ્રજાતિના પીપળ, વડ, ઉમરો, નગોડ, લીમડાના 1,00,000 કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર કરાશે.